બંગાળમાં શું થયું ? ક્યાં થઈ હિંસા ? જુઓ
બંગાળ અને હિંસા એકબીજાના પૂરક ગણાય છે અને અહીં કોઈ પણ ચુંટણી હિંસા વિના થઈ શકતી નથી. લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા પ.બંગાળના નંદીગ્રામમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ભાજપની એક મહિલા કાર્યકરનું મૃત્યુ થઈ ગયું હતું. અથડામણમાં ભાજપના 7 કાર્યકરો પણ ઘવાયા હતા. આ હિંસા બાદ કેન્દ્રીય દળોને ગોઠવી દેવાયા હતા. સમગ્ર પંથકમાં ભારે ટેન્શન છવાઈ ગયું હતું.
આ ઘટના 22 મેની મોડી રાતે નંદીગ્રામના સોનચૂરામાં બની હતી. અહીં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પરસ્પર બાખડી પડ્યા હતા. ટીએમસીના કાર્યકરો પર આરોપ લાગ્યો છે કે તેમણે ધારદાર હથિયારો વડે ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં મૃતક મહિલા ભાજપ કાર્યકરનું નામ રથીબાલા આડી હોવાનું બહાર આવ્યું હતું.
આ પહેલીવાર નથી જ્યારે પ.બંગાળના કોઈ વિસ્તારમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ જોવા મળી છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે જેમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો સામે સામે બાખડી ચૂક્યા છે અને હિંસા પણ ભડકી છે.
તાજેતરમાં 20 મેના રોજ બંગાળના બેરકપુરમાં ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ અને ટીએમસી કાર્યકર વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસની હાજરીમાં આ ઘટના બની હતી. તેના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. આ ઘટનાના સોશિયલ મીડિયા પર ફૂટેજ પણ વાયરલ થયા હતા.
ભાજપ, ટીએમસીના એકબીજા પર આરોપ
આ હિંસા બારામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ દ્વારા સામસામા આરોપો લગાવ્યા હતા. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મીડિયાને એમ કહ્યું હતું કે ટીએમસીના કાર્યકરોએ અમારા કાર્યકરોને ઉશ્કેર્યા હતા અને હુમલો કર્યો હતો. જ્યારે ટીએમસીના નેતાએ અને મમતાએ પણ આવા જ આરોપ મૂક્યાહતા.