આજથી સંસદની ગાડી પાટે ચડશે
એક અઠવાડિયા સુધી હો હા-ગોકીરો અને લાખ્ખો રૂપિયાના આંધણ બાદ
સ્પીકર સાથેની બેઠકમાં સંસદમાં મડાગાંઠને
ખતમ કરવા સરકાર અને વિપક્ષ એક થયા
૧૩ અને ૧૪મીએ બંધારણ પર ચર્ચા કરવા સર્વસંમતિ બની: મોદી પણ બોલશે
વોઇસ ઓફ ડે । નવી દિલ્હી
સંસદના શિયાળુ સત્રનું પહેલું અઠવાડિયુ હોબાળા વચ્ચે પસાર થઇ ગયા બાદ હવે ગાડી પાટે ચડે તેવા સંજોગો ઉભા થયા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સોમવારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં બધા પક્ષો બંધારણ પર ચર્ચા કરવા પણ સંમત થયા છે. મળતી માહિતી મુજબ આ મુદ્દા પર ૧૩ અને ૧૪ નવેમ્બરે લોકસભામાં અને ૧૬-૧૭ નવેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બંધારણ અંગે લોકસભામાં વક્તવ્ય આપશે. આમ તો કોંગ્રેસે સત્રની શરૂઆત થઇ ત્યારથી અદાણી મામલે હોબાળો ચાલુ કર્યો હતો પરંતુ ઇન્ડિયા ગઠબંધનનાં સાથીપક્ષો આ મામલાથી દુર રહ્યા હતા અને કોંગ્રેસ એકલી પડી ગઈ હતી. સંસદના શિયાળુ સત્રની શરૂઆતથી, વિપક્ષ તેના તમામ મુદ્દાઓને લઈને હોબાળો મચાવી રહ્યો છે, જ્યારે તેનો આરોપ છે કે શાસક પક્ષ દ્વારા તેમની માંગણીઓ ન સ્વીકારવાને કારણે સંસદની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી રહી નથી. જેના કારણે સંસદના છ મહત્વના દિવસો હંગામામાં ખોવાઈ ગયા. આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આ અંગે તમામ પક્ષો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ટીડીપીના લવુ શ્રી કૃષ્ણ દેવરાયાલુ, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ, ડીએમકે સાંસદ ટીઆર બાલુ, એનસીપી-એસપી સાંસદ સુપ્રિયા સુલે, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, જેડી(યુ)ના દિલેશ્વર કામૈત, આરજેડીના અભય કુશવાહ, ટીએમસીના સાંસદ કલ્યાણ બાલુ, શિવસેના (યુબીટી) ના અરવિદ સાવંત અને સીપીઆઇ (એમ)ના રાધાકૃષ્ણન એ હાજરી આપી હતી.
આ બેઠકમાં મડાગાંઠનો અંત લાવવાની સાથે સરકાર અને વિપક્ષ બંધારણ પર ચર્ચા કરવા પણ સંમત થયા હતા. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુના જણાવ્યા અનુસાર, આ મુદ્દા પર ૧૩ અને ૧૪ નવેમ્બરે લોકસભામાં અને ૧૬-૧૭ નવેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે. તેમણે મંગળવારથી સંસદનું કામકાજ સુચારૂ થવાની આશા વ્યક્ત કરી હતી.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સમાજવાદી પાર્ટીને પણ લોકસભામાં સંભલનો મુદ્દો ઉઠાવવાની મંજૂરી આપવામાં આવી શકે છે અને તૃણમૂલ કોંગ્રેસને બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓને ઉઠાવવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જ્યારે અદાણી મુદ્દા પર કોઈ ચોક્કસ ચર્ચા થવાની શક્યતા ઓછી છે, રીજીજુએ કહ્યું હતું કે વિપક્ષી સભ્યો અન્ય ચર્ચાઓ દરમિયાન તેના વિશે વાત કરી શકે છે. કોંગ્રેસ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને કંપનીના અન્ય અધિકારીઓ પર લાંચ અને છેતરપિડીના આરોપમાં યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા આરોપ મૂકવાનો મુદ્દો સતત ઉઠાવી રહી છે.
સંભલ હિસા અને મણિપુર અશાંતિ જેવા મુદ્દાઓ પર વિપક્ષના જોરદાર વિરોધને કારણે ૨૫ નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્ર બાદથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સતત સ્થગિત કરવામાં આવી રહી છે. જો કે, કેટલાક અન્ય વિપક્ષી પક્ષો, ખાસ કરીને ટીએમસીએ અદાણી વિવાદને પ્રાધાન્ય આપ્યું નથી અને સંસદ દ્વારા ભંડોળની ફાળવણીમાં બેરોજગારી, મોંઘવારી અને વિપક્ષ શાસિત રાજ્યો સામે કથિત ભેદભાવ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે.