નરેન્દ્ર મોદીની વય વંદના : ૭૦+નાં તમામને સારવાર તદન ફ્રીમાં મળશે
તમામ વડીલો આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ U-Win પોર્ટલ લોન્ચ કર્યું
ધનતેરસ અને આયુર્વેદ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નાગરિકોને ભેટ આપી તેમને વિવિધ રોગની સારવાર તદન વિનામૂલ્યે મળશે તેવી જાહેરાત કરી હતી. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન, દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વય વંદના કાર્ડ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી.
તમામ વૃદ્ધોને આ યોજનાનો લાભ મળશે, પછી ભલે તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય, બધાને આયુષ્માન કાર્ડ માટે પાત્ર ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે આયુષ્માન ભારત યોજનામાં વરિષ્ઠ નાગરિકોની આવક મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, બાકીના નાગરિકો માટે આવક મર્યાદા હજુ પણ ચાલુ છે. યોજનાના લાભાર્થીઓ PMJAY હેઠળ 29,000 થી વધુ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.
આ યોજના દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. માત્ર દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળના રહેવાસીઓને જ આ યોજનાનો લાભ મળતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પંજાબ અને બંગાળની સરકાર આ યોજના સાથે જોડાઈ નથી તેથી એ બે રાજ્યોના વડીલોને આ લાભ નહી આપી શકાય.
વડાપ્રધાને એક પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. આ U-WIN પોર્ટલ Co-WIN પોર્ટલની જેમ જ કામ કરશે. તે રસીકરણ કરવાના હોય એવા બાળકોની યાદી તૈયાર કરશે અને બાળકોના માતાપિતાને મેસેજ મોકલશે, જેમાં રસીકરણની તારીખ અને નજીકના આરોગ્ય કેન્દ્રની વિગતો હશે, જ્યાંથઈ તેઓ રસી મેળવી શકશે.U-WIN પોર્ટલ દ્વારા જન્મથી 17 વર્ષ સુધીના બાળકોના રસીકરણનો કાયમી ડિજિટલ રેકોર્ડ જાળવવામાં આવશે.
વય વંદના કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી
જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ (https://beneficiary.nha.gov.in/) પર જાઓ.
હવે વ્યક્તિગત વિગતો આપ્યા પછી સબમિટ કરો.
આ પછી કુટુંબની વિગતો પર જાઓ અને લાગુ કરો પસંદ કરો.
હવે અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
તેનો OTP માન્ય કરો અને ફોર્મ સબમિટ કરો.
છેલ્લે તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
કયા રોગો આવરી લેવામાં આવ્યા
આયુષ્માન ભારત યોજનાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કેન્સર, હૃદય રોગ, કિડની સંબંધિત રોગો, કોરોના, મોતિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ વગેરે જેવા ગંભીર રોગોની પણ મફતમાં સારવાર કરવામાં આવે છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, સરકારે ખાનગી હોસ્પિટલોમાંથી મોતિયા, સર્જિકલ ડિલિવરી અને મેલેરિયા વગેરે જેવી ઘણી સારવાર દૂર કરી છે. આ તમામ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં મફતમાં થઈ શકે છે. આ યોજના હેઠળ, રોગોની સાથે પ્રોસ્ટેટ કેન્સર, ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ, કોરોનરી આર્ટરી બાયપાસ, પલ્મોનરી વાલ્વ રિપ્લેસમેન્ટ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, સ્કલ બેઝ સર્જરી, ટિશ્યુ એક્સ્પાન્ડર, પીડિયાટ્રિક સર્જરી, રેડિયેશન ઓન્કોલોજી, ન્યુરોસર્જરી, એન્જીયોપ્લાસ્ટી જેવી સર્જરી પણ કરવામાં આવે છે. મફતમાં થઈ શકે છે. આ સર્જરી સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ કરી શકાય છે.