મનમોહનસિંહના અસ્થિનું યમુના નદીમાં વિસર્જન
ભાજપનો આરોપ – કોંગ્રેસમાંથી કોઈ પહોંચ્યું નહીં
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અસ્થિઓને રવિવારે દિલ્હીના મજનુ કા ટીલા સ્થિત ગુરુદ્વારામાં લાવવામાં આવી હતી અને શબ્દ કીર્તન, પઠન અને અરદાસ પછી યમુના નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતું. કોંગ્રેસે ઈન્સ્ટાગ્રામ પર અસ્થિ વિસર્જનનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, ‘આજે, ભારત માતાના પુત્ર અને દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની અસ્થિઓનું વિસર્જન ગુરુદ્વારા પાસે યમુના ઘાટ પર સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવ્યું. આપણે બધા મનમોહનસિંહજીની દેશ પ્રત્યેની સેવા, સમર્પણ અને તેમની સાદગીને હંમેશા યાદ રાખીશું.

જો કે ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ આક્ષેપ કર્યો હતો કે ડૉ.મનમોહન સિંહની અસ્થિ વિસર્જન વખતે કોંગ્રેસના કોઈ નેતા હાજર ન હતા. તેમણે કહ્યું, ‘ડૉ. મનમોહન સિંહ જીની પવિત્ર અસ્થિઓના વિસર્જન વખતે ગાંધી પરિવાર અને કોંગ્રેસના નેતાઓની ગેરહાજરી હોવી ખૂબ જ નિરાશાજનક હતી. જે નેતાએ સન્માન સાથે દેશની સેવા કરી છે તે પોતાના પક્ષ કરતાં વધુ સન્માનને પાત્ર છે. આ કોંગ્રેસ અને ગાંધી પરિવારની પ્રાથમિકતાઓ વિશે ઘણું કહી જાય છે.