બીલકિસ બાનુ કેસ : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જુઓ
બીલકિસ બાનુ કેસમાં દોષિતોને માફી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય રદ
11 હત્યારા – દુષ્કર્મિઓ જેલમાં જ રહેશે
આઝાદીના અમૃત કાળમાં માફી આપી હતી.
2002 ના ગુજરાત ના કોમી રમખાણો દરમિયાન બિલકિસ બાનુ નામની સગર્ભા મહિલા પર સામુહિક દુષ્કર્મ આચરવાના તથા તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવાના ગુનામાં દોષિત ઠરેલા 11 શખ્સોની સજા માફ કરી અને વહેલી જેલ મુક્તિ કરવાના ગુજરાત સરકારના નિર્ણયને ગેરકાયદે ગણાવીને રદ કરતો સિમાચહિન રૂપ ચુકાદો સોમવારે સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાને કારણે ગુજરાત સરકારને અત્યંત શરમજનક ઝાટકો લાગ્યો છે. અદાલતે તમામ 11 દોષિતોને બે અઠવાડિયામાં જેલમાં શરણે આવવાનો આદેશ કર્યો હતો.
આ ભયંકર અપરાધના દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણય સામે બિલકિસ બાનુ સહિત અન્યોએ સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજી ઉપર 11 દિવસ સુનાવણી ચાલ્યા બાદ જસ્ટિસ બી.વી. નાગાર્થના અને જસ્ટિસ ઉજલ ભૂયાન ની ખંડપીઠે આપેલા ચુકાદામાં ગુજરાત સરકારને માફી આપવાનો અધિકાર ન હોવાનું ઠેરવવામાં આવ્યું હતું અને એ નિર્ણય સુધી દોરી જનાર સર્વોચ્ય અદાલતના જ અગાઉના ચુકાદાને પણ સોમવારે સર્વોચ્ય અદાલતે અમાન્ય ઠેરવ્યો હતો.
કોમી રમખાણોના સમયે બિલકિસ બાનુ અને તેના પરિવારજનો સલામત સ્થળે જવા માટે ભાગી રહ્યા હતા ત્યારે અમદાવાદ નજીક રાધિકાપુર નામના ગામડામાં તેના જ ગામના કેટલાક લોકોએ આ જઘન્ય કૃત્ય આચર્યું હતું. તે અંગે બિલકીસ બાનુ એ કરેલી ફરિયાદ બાદ અદાલતે કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો હતો અને મુંબઈની ખાસ સીબીઆઇ અદાલતે 11 લોકોને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફરમાવી હતી.એ સજામાંથી ગુજરાત સરકારે આઝાદીના અમૃત કાળ મહોત્સવ દરમિયાન 15 ઓગસ્ટ 2022 ના રોજ તમામ હત્યારાઓ અને દુષ્કર્મોઓની બાકીની સજા માફ કરી જેલમાંથી મુક્ત કરી દીધા હતા.
ક્યા મુદ્દે ગુજરાત સરકારનો નિર્ણય ગેરકાયદે ઠર્યો?
બિલકીસ બાનુ સામુહિક દુષ્કર્મ અને સામુહિક હત્યાનો કેસ મુંબઈની અદાલતમાં ચાલ્યો હતો અને એ અદાલતે આરોપીઓને દોષિત ઠેરવી સજા ફરવા આવી હતી. કાનૂની જોગવાઈ અનુસાર દોષિતોને સજામાંથી માફી કે વહેલી જેલ મુક્તિ આપવનો નિર્ણય જે રાજ્યમાં કેસ ચાલ્યો હોય તે રાજ્યની સરકાર જ લઈ શકે છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ અજય રસતોગી અને વિક્રમનાથની બનેલી ખંડપીઠે માફી 13 મે 2022ના રોજ સજા માફી અંગેનો નિર્ણય લેવાનો અધિકાર ગુજરાત સરકારને હોવાનો ચુકાદો આપ્યો હતો અને તે ચુકાદાને આધાર બનાવી ગુજરાત સરકારે બધાને માફી આપી હતી. સોમવારે સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટના અગાઉના એ ચુકાદાને જ ગેરકાયદે ગણાવ્યો હતો.અગાઉ ની ખંડપીઠે સજા માફી સંદર્ભે રાજ્ય સરકારોની સત્તા અંગેના શ્રીહરન કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આપેલા ચુકાદાનું પણ ઉલ્લંઘન કર્યું હોવાની આકરી ટીકા કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે દોષિતોએ છેતરપિંડી અને તથ્યો સાથે ચેડાં કરીને અગાઉનો ચુકાદો મેળવ્યો હતો. મુંબઈની અદાલતના અગાઉના ચુકાદા તેમજ દોષિતોને સજા ફરમાવનાર તત્કાલીન ન્યાયાધીશના અભિપ્રાયને જાહેર નહોતો કરવામાં આવ્યો. આ સંજોગોમાં એ ચુકાદો તથા તે ચુકાદાને આધારે બાદમાં કરવામાં આવેલ તમામ કાર્યવાહીઓ પણ ક્ષતિગ્રસ્ત હોવાથી રદબાતલ થવાને પાત્ર હોવાનું સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું.
આ બધા હત્યારાઓ દુષ્કર્મીઓ હવે ફરી જેલ ભેગા થશે
સર્વોચ્ય અદાલતે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે સરકારની દોષિતો સાથે મિલી ભગત હતી. 2019 માં દોષિતો પૈકીના એક રાધેશ્યામ શાહે સજા માફી માટે કરેલી અરજી ગુજરાત હાઇકોર્ટે એવું કહીને નકારી કાઢી હતી કે માફી આપવાનો અધિકાર જ્યાં કેસ ચાલ્યો હતો તે મહારાષ્ટ્રની સરકારને જ છે. તે પછી પણ 13 મે 2022 ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ગુજરાત સરકારે કેમ પડકર્યો નહીં તે આશ્ચર્યની વાત છે. સર્વોચ્ય અદાલતે કહ્યું કે સજા માફી નો નિર્ણય ગુજરાત સરકારે ‘ માઈન્ડ એપ્લાય ‘ કર્યા વગર જ લીધો હતો. હવે સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા ને પગલે રાધેશ્યામ શાહ, જસ્મીત ચતુરભાઈ નાઈ, કેશુભાઈ વડાણીયા, બકાભાઇ વડાણીયા રાજીભાઈ સોની, રમેશ ચૌહાણ, શૈલેષ ભટ્ટ, બીપીનચંદ્ર જોશી, ગોવિંદભાઈ નાઈ, મિતેશ ભટ્ટ અને પ્રદીપ મોઢિયા નામના આ હત્યારાઓ અને દુષ્કર્મીઓને ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે. આ દોષિતો 15 ઓગસ્ટ 2022 થી એક ગેરકાયદે નિર્ણયનો ફાયદો મેળવી રહ્યા હોવાની સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી.