બાબા રામદેવને સુપ્રીમ કોર્ટથી શું લાગ્યો ઝટકો ? વાંચો
અદાલતે શું કહ્યું ?
કોરોનાની દવા કોરોનીલને લઈને પતંજલિ આયુર્વેદ દ્વારા ભ્રામક જાહેરાત આપવાના કેસમાં બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ આજે ફરી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે ફરી એકવાર કોર્ટમાં માફી માગી હતી, પરંતુ તેઓની મુશ્કેલી ઓછી થઈ નથી.
જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હીમા કોહલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતાં કહ્યું કે, ‘તમે ત્રણ ત્રણ વખત આદેશની અવગણના કરી છે. હવે તેના પરિણામ ભોગવવા પડશે. અમે આંધળા નથી.’ આ સાથે જ કેન્દ્ર સરકારના જવાબ સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. અદાલતે કહ્યું હતું કે તમારું માફીનામું રદ કરવામાં આવે છે. માનહાનિ અંગે કાર્યવાહી થશે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકાર્યા બાદ કેન્દ્ર સરકારે પણ જવાબ આપવો પડ્યો છે. આ અંગે જસ્ટિસ કોહલીએ કહ્યું છે કે, ‘આયુષ મંત્રાલય અત્યાર સુધી કાર્યવાહી માટે રાહ કેમ જોઈ રહ્યું હતું. અત્યાર સુધી કોઈપણ કોર્ટ સમક્ષ તેની સામે અરજી કેમ ના કરી?’
બીજી તરફ, સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને પૂછ્યું કે, ‘પતંજલિએ તમારી સમક્ષ આપેલા નિવેદનનું ઉલ્લંઘન કર્યું તો તમે શું કર્યું? બેસી રહ્યા તમે, અમારા આદેશની રાહ જોતા રહ્યા? તમે કોઈ કાર્યવાહી કેમ ન કરી. આવું 6 વખત થયું છે. વારંવાર લાઈસન્સિંગ ઈન્સપેક્ટર મૌન રહ્યા. અધિકારીઓ તરફથી પણ કોઈ રિપીટ નથી. ત્યાર પછી નિમણૂક અધિકારીએ પણ આવું જ કર્યું. આ ત્રણેય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.’