ત્રિચી એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના ટળી : ૧૪૦ મુસાફરો સાથેના વિમાને હવામાં ૩ કલાકથી વધુ ચક્કર માર્યા પછી ખતરનાક સંજોગોમાં લેન્ડીંગ
એર ઇન્ડિયાની ત્રિચી-શારજાહ ફ્લાઈટમાં હાઈડ્રોલિક સિસ્ટમમાં ખરાબી આવતા
પાઈલોટે ઈમરજન્સી જાહેર કરી
એરપોર્ટ ઉપર ૨૪ એમ્બ્યુલન્સ અને બચાવ ટુકડી તૈનાત કરાઈ
તામિલનાડુનાં તિરુચિરાપલ્લીથી શારજાહ માટે નીકળેલા એરઇન્ડિયાનાં વિમાનની હાઈડ્રોલિક સીસ્ટમ ફેઈલ થઇ જતા ૧૪૦ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લગભગ સાડા ત્રણ કલાક સુધી હવામાં ચક્કર માર્યા બાદ આ વિમાનનું ત્રિચી એરપોર્ટ ઉપર સલામત રીતે લેન્ડીંગ કરવામાં આવ્યું હતું અને બધાને હાશકારો થયો હતો. એક તબક્કે બેલી લેન્ડીંગ કરવાની તૈયારી પણ કરવામાં આવી હતી જો કે,પાઈલોટે હવામાં જ ઘણું ખરું ફ્યુઅલ ખાલી કરી ને કુશળતાપૂર્વક પ્લેનનું સલામત લેન્ડીંગ કરાવતા મુસાફરોના જીવ બચી ગયા હતા.
હાઈડ્રોલિક સિસ્ટમ ખરાબ થઇ જતા પ્લેનના પૈડા ખુલતા ન હતા અને તેને પરિણામે તેને લેન્ડીંગ માટે મુશ્કેલી પડી હતી. આ વિમાન ત્રિચીથી રવાના થયું ત્યારે સાંજે જ આ ખરાબીની ખબર પડી હતી અને પાઈલોટે ઈમરજન્સી જાહેર કરી હતી.
સુત્રો અનુસાર, આવા સંજોગોમાં વિમાનમાં જે ફ્યુઅલ હોય તે ખાલી કરીને વિમાનનું બેલે લેન્ડીંગ કરવાનું હોય છે. પૈડા ખુલ્ય ન હોય ત્યારે તેના વગર આવું લેન્ડીંગ કરવું પડે અને આવું કરતી વખતે જો વિમાનમાં ફ્યુઅલ હોય તો આગ લાગવાની સંભાવના પણ હોય છે. આથી પહેલા હવામાં જ મોટાભાગનું ફ્યુઅલ ખાલી કરવું પડે અને પછી લેન્ડીંગ કરાવવું પડે.
આ ઘટનામાં વિમાનના પાઈલોટે ૩ કલાકથી વધુ સમય સુધી વિમાનને હવામાં ફરતું રાખ્યું અને ફ્યુઅલ ખાલી કર્યું..અને પછી રાત્રે ૮-૩૦ વાગ્યે એરપોર્ટ ઉપર સલામત રીતે લેન્ડીંગ કર્યું. વિમાન લેન્ડ થઇ જતા જ મુસાફરો અને તંત્રને હાશકારો થયો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો.
કોઈ પણ ઈમરજન્સી ઉભી થાય તો મદદ માટે ૨૪ જેટલી એમ્બ્યુલન્સ અને બચાવ રાહત ટુકડીને તૈનાત રાખવામાં આવી હતી. જો કે પાઈલોટની કુશળતાથી એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી. વિમાનનું સલામત લેન્ડીંગ થઇ જતા મુસાફરો નીચે ઉતરીને જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા.
બોક્સ
વિમાને ચક્કર માર્યા
વિમાન 4255 ફૂટની ઊંચાઈએ ચક્કર લગાવ્યા હતા. એરક્રાફ્ટમાં હાઇડ્રોલિક ફેલ્યોર થાય છે જ્યારે લેન્ડિંગ ગિયર, બ્રેક્સ અને ફ્લેપ્સ જેવા મહત્વપૂર્ણ ભાગોને નિયંત્રિત કરવા માટે દબાણયુક્ત પ્રવાહીનો ઉપયોગ કરતી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે.