રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
ગુજરાત પોલીસે ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં જાહેર માર્ગ ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકવાની રાજ્ય સરકારને દરખાસ્ત કરી છે. પોલીસ માને છે કે, આ પ્રતિબંધ લાગુ કરવાથી ટ્રાફિક સમસ્યા ઓછી થશે અને પબ્લીકની હેરાનગતિ પણ ઓછી થશે. આ પ્રકારનો પ્રતિબંધ મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ લાગુ કરવામાં આવ્યો છે અને તેના પરિણામ પણ જોવા મળ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, મોટા મોટા ચોકમાં જ્યાં ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનો ઉભા રહે છે ત્યારે ભીખ માગનારા વચ્ચે વચ્ચે ફરી વળે છે અને તેને લીધે પબ્લીકને પરેશાની થાય છે. જયારે સિગ્નલ ખુલે ત્યારે આ ભીખ માગનારાઓ રોડની વચ્ચે જ હોય છે અને તેને લીધે ટ્રાફિક માટે અડચણ ઉભી થાય છે. આ સમસ્યાના નિવારણ માટે જાહેર માર્ગ ઉપર ભીખ માગવા ઉપર રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌ પ્રથમ પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે. આમ કરવાથી ભીખ માગવાના નેટવર્કમાં ફસાયેલા બાળકો ઉપરાંત પુખ્ત વયના લોકોનું પુનર્વસન પણ કરી શકાશે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
રાજ્યના એડીશનલ ડીજી અજય ચૌધરીના જણાવ્યા અનુસાર, જાહેર માર્ગ ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકવા પાછળ માત્ર સ્વચ્છતાનો મુદ્દો જ કારણભૂત નથી પરંતુ જાહેર સલામતિનો મુદ્દો પણ છે. વ્યસ્ત ચોકમાં ભીખ માગવાની પ્રવૃત્તિથી ટ્રાફિકમાં અડચણ આવે છે અને તેને લીધે અકસ્માતનુ જોખમ પણ રહે છે. વાહન ચાલકોને ઘણીવાર હેરાનગતિનો સામનો કરવો પડે છે, ભિખારીઓ કારની બારીઓ પર ટકોરા મારે છે, અને કેટલાક કિસ્સાઓમાં, ભીખ ન આપવામાં આવે ત્યારે વાહનચાલકો સાથે દુર્વ્યવહાર કરે છે.
સુત્રોએ એમ પણ કહ્યુ હતું કે, આ સૂચિત પ્રતિબંધનો ભંગ કરનારને સજાને બદલે તેના પુનર્વસન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માટે પોલીસેરાજ્ય સરકાર આશ્રય ગૃહોને શૈક્ષણિક સહાય પૂરી પાડવા માટે સામાજિક ન્યાય વિભાગ, શિક્ષણ વિભાગ અને NGO સાથે જોડાણ કરી રહી છે. રાજ્ય સરકાર આશ્રય ગૃહોની સંખ્યા વધારવા ઉપરાંત ભિખારીઓનું નેટવર્ક ચલાવનારાને ઉઘાડા પાડવા ઉપર પણ કામ કરી રહી છે.
આ પણ વાંચો : Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
યોજનાઓમાં વધુ આશ્રય ગૃહો બનાવવા, ભીખ માંગનારા માફિયાઓ પર કાર્યવાહી કરવા અને શોષણમાંથી બહાર નીકળવાના રસ્તાઓ બનાવવાનો સમાવેશ થાય છે. ગરીબીને ગુનાહિત બનાવવાને બદલે મૂળ કારણોને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
પોલીસે અમદાવાદમાં તો ભીખ માગી રહેલી સગીરવયની છોકરીઓ અને છોકરાઓને બચાવીને તેમને શાળામાં દાખલ કરવામાં પણ મદદ કરી છે. આવા બાળકો શાળા છોડીને ચાલ્યા ન જાય તેનું પણ પોલીસ ધ્યાન રાખે છે. આ કામગીરીમાં માનવ તસ્કરી વિરોધી શાખા અને ટ્રાફિક પોલીસ નવા કાયદાના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે.