રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાય જ કેમ રહ્યું છે, ખાલી આવાસની ફાળવણી કેમ નથી થતી? RMCની સંકલન સમિતિની બેઠકમાં સાંસદે લીધો ‘ક્લાસ’
રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં સાંસદ, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ સાથે અધિકારીઓની સંકલન બેઠક મહિનામાં બે વખત મળે છે. આ બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોને લગતા પ્રશ્નોની ચર્ચા કરી અધિકારીઓ પાસેથી કામગીરીનો `હિસાબ’ માંગવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં આ પ્રકારે બેઠક મળતી અને સાંસદ-ધારાસભ્યો પ્રશ્નો ઉઠાવતાં એટલે તેનો કંઈક નિવેડો આવશે તેવું લાગતું હતું પરંતુ હવે આ સંકલન મિટિંગ ખાધું, પીધું’ને રાજ કર્યા જેવી જ બની રહેતી હોય તે પ્રકારે તેમાં પ્રશ્નોની ચર્ચા તો થાય છે પરંતુ સમયસર પ્રશ્નોનો નિકાલ ન આવી રહ્યાનું લાગ્યા વગર રહેતું નથી કેમ કે દર વખતની બેઠકમાં પાછલી બેઠકમાં જે પ્રશ્ન ચર્ચાયો હોય તેની ચર્ચા થાય છે અને અમુક નવી સમસ્યા જ ઉમેરાઈ રહી છે.
આ વખતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરના રામકૃષ્ણ આશ્રમ પાસે વારંવાર પાણી ભરાઈ જવાની ફરિયાદો મળી રહી છે ત્યારે આવું શા માટે બની રહ્યું છે ? તેમણે અધિકારીઓને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું કે આવું થવું જ જોઈએ. આ ઉપરાંત તેમણે ખાલી રહેલા આવાસની સ્થિતિ શું છે અને આવાસ ખાલી હોય તો પછી તેની ફાળવણી શા માટે કરાતી નથી તેનો જવાબ પણ માંગ્યો હતો. સાંસદ રામભાઈએ મહાપાલિકા હસ્તકની શાળામાં સ્ટાફ સેટઅપ કેમ ઘટી રહ્યું છે, વરસાદી પાણીના નિકાલનું શું વ્યવસ્થા કરવામાં આવી તે સહિતના પ્રશ્નો પૂછયા હતા. જો કે પ્રશ્નોના જવાબ તો મળ્યા પરંતુ સમસ્યામાંથી છૂટકારો ક્યારે મળશે તેનો કોઈ જ સચોટ જવાબ મળ્યો ન હોવાનું બેઠકમાં હાજર વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રાજકોટમાં દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રસ્તા પહોળા કરવા સુચન કર્યું હતું પરંતુ અમલ ક્યારથી શરૂ થશે તેનો કોઈ જ જવાબ અપાયો ન્હોતો. જ્યારે પેન્ડીંગ ટીપી સ્કીમને આગળ વધારવા, બાંધકામ શાખાને લાગુ પ્રશ્નો રજૂ કર્યા હતા જેના જવાબ લગત પોર્ટલમાં આપવામાં આવ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહે પણ ગાર્ડન શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને લાગુ પ્રશ્નો પૂછયા હતા.
