‘આપ’ વિસાવદરમાં વધુ એક વખત વિજયી કેમ થયું, કેજરીવાલ-ઇટાલીયાનો આક્રમક પ્રચાર ભાજપને પડ્યો ભારે?
આમ આદમી પાર્ટીએ વધુ એક વખત વિસાવદરની બેઠક જાળવી રાખી છે. જેની પાછળ રાજકીય વિશ્લેષણ મુજબ આપે ઉમેદવાર તરીકે ગોપાલ ટિલીયાને અગાઉ જ જાહેર કરી દીધા હતાં. પેટા ચૂંટણી આવશે અને લડવાનું છે એમ માનીને ઉમેદવાર જાહેર થયા પૂર્વે જ ઇટાલીયા વિસાવદરના ગામડાઓ ખૂંદવા લાગ્યા હતાં. વિસાવદરવાસીઓ પક્ષ પલ્ટુઓને સ્વીકારતા નથી.

હર્ષદ રીબડીયાને જાકારો આપ્યો, આપના ભુપત ભાયાણી જીત્યા હતાં. જ્યારે ગોપાલે પ્રથમથી જ વિશ્વાસ આપ્યો હતો કે શું પક્ષ પલ્ટો નહીં કરું. આ જ શબ્દો સાથે કેજરીવાલે મતદારોને વિશ્વાસ અપાવ્યો હતો કે જો ઇટાલીયા પક્ષ પલ્ટો કરશે તો હું રાજકારણ છોડી દઈશ.

ઇટાલીયાનો આક્રમક પ્રચાર તેમજ ગ્રામ્ય મતદારોને કેમ આકર્ષવા તે આવડત, કાઠિયાવાડી ગામઠી શબ્દો, તેમજ ગોપાલે ભાષણોમાં ભાજપના ઉમેવારના કથિત કૌભાંડો ગજવ્યા. તેમજ સહાનુભૂતિ મેળવવા માટે મતદારો સમક્ષ વાત મુકી કે મારી સામે આખી ભાજપની ફૌજ શામ, દામ, દંડ નીતિથી ઉતરી છે. આપ ઈકોઝોન લાગુ નહીં પડવા દે જેવા વચનો અને ગોપાલના બેબાક બોલ પર વિસાવદરવાસીઓ વરસી પડ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે વિસાવદર સીટના વિજેતા ઉમેદવારો ભાજપમાં જોડાઈ જાય છે કે સિલસિલાને અહીં બ્રેક લાગશે કે કેમ?
આ પણ વાંચો : ‘અનુપમા’ના સેટ પર લાગી ભીષણ આગ : આ પહેલા પણ ફિલ્મો-ટીવી શોના સેટ પર થયા છે અકસ્માત, દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા
ખુદ ઇટાલિયાએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા….
વિસાવદરની ચૂંટણીમાં આપનો વિજય થયો છે. ભાજપની વધુ એક વખત (સતત ચોથી ટર્મ) હાર થઇ છે. આપના ઇટાલીયા મતગણના કેન્દ્રમાંથી બહાર આવ્યા ત્યારે સમર્થકોએ વધાવી લીધા હતાં. ખંભે બેસાડીને જય ગોપાલ, જય ગોપાલના નારા લગાવ્યા હતા. સાથે એક નારો સમર્થકોમાં એવો પણ ગુંજતો હતો કે, જવાહર ચાવડા જીંદાબાદ-જીંદાબાદ, ખુદ વિજેતા ઉમેદવાર ઇટાલીયાએ જીંદાબાદના નારા લગાવતા આ નારા પરથી આમ જુઓ તો ભાજપથી નારાજ ચાલતા જવાહર ચાવડા કે જેમને લોકસભામાં પણ નારાજી દર્શાવી હતી. તેમણે આ વખતે આપને અંદરખાને મદદ કરી હશે? જેથી જીંદાબાદના નારા લાગ્યા? એવી પણ વાતો વહેતી થઇ કે શું… આવનારા દિવસોમાં જવાહરભાઈ આપમાં પ્રવેશ લેશે? જો કે જીંદાબાદના નારા કેમ લાગ્યા? લગાવ્યા તે તો આપ વાળા જ જાણતા હશે.