લગ્ન ભાગીને થાય કે સહમતિથી થાય, માતા-પિતાની મંજુરી ફરજિયાત કરો : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનોની માંગણી
હાલના સમયમાં યુવાવયની ઘણી છોકરીઓને લગ્નના નામે ફસાવવામાં આવે છે અથવા ઘણા કિસ્સામાં છોકરીઓ ભપકાથી અંજાઈ જઈને લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જાય છે. આવા કિસ્સામાં તેમની લગ્નનોંધણીમાં માતા-પિતાની સહમતિ હોય તો જે દુષણ ઉભું થયું છે તે દુર થશે તેવી રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. અમદાવાદનાં ઠક્કરબાપાનગર વિસ્તારના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયાએ વોઈસ ઓફ ડે સાથે વાત કરતા કહ્યુ હતું કે, લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવાની માંગણી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કરવામાં આવી છે. આ સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સમક્ષ પણ કરવામાં આવી છે. સરકાર આ દિશામાં ઘણી પોઝીટીવ છે.
તેમણે તો એમ પણ કહ્યુ કે, સરકાર ઈચ્છશે તો વિધાનસભાના આગામી સત્રમાં પણ આ અંગેનો ખરડો આવી શકે છે. અમદાવાદના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા સહિત પટેલ સમાજના આશરે દસ આગેવાનોના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી આ મુદ્દે કાયદાકીય સુધારાની માંગ કરી હતી.
પ્રતિનિધિમંડળે રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કાયદાકીય રીતે ઉંમરલાયક દીકરા-દીકરીઓ ઘણીવાર માતા-પિતાની જાણ કે સંમતિ વગર લગ્ન કરી લે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી દીકરીઓ કાચી ઉંમરમાં ખોટી સમજણ કે ભાવનાત્મક દબાણના કારણે ઉતાવળે નિર્ણય લઈ લે છે, જેના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાય છે.
આ પણ વાંચો :રાજકોટમાં યુવક-યુવતીઓમાં ખૂટી રહી છે ધીરજ: 19થી 35 વર્ષના ચાર લોકોએ આપઘાત કરી લેતા સનસનાટી
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કેટલીક ઘટનાઓમાં દીકરીઓને ભરમાવી લગ્ન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. આવી ઘટનાઓ રોકવા માટે લગ્ન પહેલાં માતા-પિતાની સંમતિ લેવી કાયદેસર ફરજિયાત બનાવવાની જરૂરિયાત છે, જેથી પરિવારને જાણ રહે અને દીકરીઓ ખોટા નિર્ણયથી બચી શકે.
વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે, “માતા-પિતાની જાણ વગર થતાં લગ્નોના કારણે ઘણી વખત ગંભીર સામાજિક અને માનસિક સમસ્યાઓ ઊભી થાય છે. કેટલીક ઘટનાઓમાં દીકરીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે તણાવનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિ અટકાવવા માટે હવે કાયદાકીય વ્યવસ્થા જરૂરી બની ગઈ છે.”
આ પણ વાંચો :કાર્તિક શર્મા-પ્રશાંત વીર બન્યા કિંમતના ‘કિંગ્સ’ : IPL-2026ના મિનિ ઑક્શનમાં CSKએ બન્ને ખેલાડી ઉપર પૈસા વરસાવ્યા
આ મુદ્દે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી સમગ્ર બાબત પર વિચારણા કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ જણાવ્યું છે.
હિંદુ મેરેજ એકટમાં સુધારો કરો
પ્રતિનિધિમંડળે સરકારને સૂચન કર્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરીને સંતાનોના લગ્ન પહેલાં માતા તથા પિતાની લેખિત પૂર્વસંમતિ મેળવવાની જોગવાઈ કરવામાં આવે. આવું થવાથી કાચી ઉંમરના દીકરા-દીકરીઓ અણસમજણમાં ખોટા નિર્ણયો ન લે અને તેમના તેમજ તેમના પરિવારના જીવન પર ગંભીર અસર ન પડે.
