અમદાવાદ, સુરતમાં જળબંબાકાર: રસ્તાઓ બેટમા ફેરવાયા
પલસાણામાં 6, બારડોલી, સુરતમાં 5.30, કામરેજમાં 5 ઇંચ: અમદાવાદમાં 3, મોરબી, દ્વારકા, ધોરાજી, રાજકોટ પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. રવિવારે વરસાદે રમઝટ બોલાવી હતી. રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મણ મૂકીને વરસ્યા હતા. રવિવારે અમદાવાદ, સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઇ ગયા હતા. રવિવારે રાજ્યના 190 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
સુરત જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળો પાણી ભરાયા હતા. સુરતના પલસાણામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ ઉપરાંત બારડોલીમાં સુરત શહેર, કામરેજમાં 5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતા બોટ ફરતી જોવા મળી હતી. શહેરના અઠવા ગેટ, મજુરા ગેટ, સિવિલ હોસ્પિટલ, કતારગામ હથિવાળા મંદિર વિસ્તાર, વેડરોડ, ઉધના ગરનાળું સહિતના વિસ્તારો પાણીમાં ગરક થયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે એક વૃક્ષ રિક્ષા પર ધરાશાઈ થયું હતું. વૃક્ષ રિક્ષા પર પડતાં રિક્ષા ચાલકનું મોત થયું હતું.
અમદાવાદમાં રવિવારે 3 ઇંચ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. વેજલપુર ,સાબરમતી રાણીપ ઘાટલોડિયા નારણપુરા ચાંદલોડિયા ,બોપલ, શેલા, ગોતા સહિતના વિસ્તારો બેટ માં ફેરવાયા હતા. તો બીજી તરફ શહેરના સાઉથ બોપલ વિસ્તાર શેલામાં રોડની વચ્ચે ભૂવો પડતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ રવિવારે અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થયો હતો. મોરબી, ભુજ, ધોરાજી, ભાવનગર, દ્વારકા પંથકમાં 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.
ક્યા કેટલો વરસાદ
પલસાણા- 153
બારડોલી- 136
સુરત- 130
કામરેજ- 124
ઓલપાડ- 119
વાપી- 119
મહુવા- 119
વલસાડ- 103
કપરડા- 90
ખેરગામ- 88
ભરૂચ- 87
મોરબી- 75
અમદાવાદ- 70
હાંસોટ- 66
ભુજ- 63
નવસારી- 62
ગાંધીનગર- 52
દસાડા- 47
જામકંડોરણા- 36
દ્વારકા- 34
અમદાવાદમાં ભારે વરસાદને કારણે બે અન્ડરબ્રિજ બંધ કરાયા
અમદાવાદમાં રવિવારે સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ ભારે વરસાદને કારણે મીઠાખળી અને અખબાર નગર અન્ડરબ્રિજમાં પાણી જવાને કારણે બંને બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. શહેરના એસજી હાઇ-વે, ચાંદખેડા, સરખેજ, ચાણક્યપુરી, સેટેલાઈટ, વેજલપુર, સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ સાબરમતી નદીની જળસપાટી વધતાં વાસણા બેરેજના 4 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.