દૂર્ઘટના બને પછી જ જાગવાનું? RMC દ્વારા બસના ડ્રાઇવર-કંડક્ટર માટે નવી SOP જાહેર, તમામ બસના કેમેરાનું થશે લાઈવ સ્ટ્રીમિંગ
રાજકોટ TRP ગેઈમ ઝોન અગ્નિકાંડ હોય, એટલાન્ટીસ એપાર્ટમેન્ટ આગકાંડ હોય કે પછી અન્ય કોઈ દૂર્ઘટના હોય મહાપાલિકાનું રીઢું તંત્ર આવી દૂર્ઘટના બને પછી જ જાગવા માટે ટેવાઈ ગઈ હોય તેવી રીતે લોકોના જીવ ગયા બાદ SOP ઘડવાનું `નાટક’ કરતી હોવાનું લોકોને લાગ્યા વગર રહેતું નથી. હવે અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા બાદ સિટી બસના ડ્રાઇવર-કંડક્ટરો માટે પણ નિયમો લાગુ કરતી SOP આજે મ્યુ.કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે.
રાજકોટમાં યમદૂત બનીને ત્રાટકેલા સિટી બસના ડ્રાઈવરે બે દિવસ પહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા જેમાં 4 લોકોના મોત નિપજ્યાં હતા. ઘટનાને પગલે પરિસ્થિતિ વણસી હતી. લોકો દ્વારા ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો અને ઘટનાસ્થળે પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો. આટલી ગંભીર ઘટનાને પગલે લોકો રોષે ભરાયા હતા ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારે મનપાની તો જાણે આદત થઈ ગઈ હોય તેમ લોકોના જીવ ગુમાવ્યા બાદ જ એસઓપી ઘડવાનું `નાટક’ કરવામાં આવે છે ત્યારે આજે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા વિવિધ પગલાંઓનું પાલન કરાવતા પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે.
ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના
ઇન્દિરા સર્કલ પાસે સર્જાયેલ અકસ્માત મામલે કારણોની વિગતવાર તપાસ કરવા અને તેના તારણોના આધારે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા “ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી” ની રચના કરવામાં આવી છે.
- નાયબ કમિશનર, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા (અધ્યક્ષ)
2. જનરલ મેનેજર, રાજકોટ રાજપથ લી. (સહ-અધ્યક્ષ)
3. મેનેજર , આર.આર.એલ. (સભ્ય સચિવ)
4. સીટી એન્જીનીયર, રોશની શાખા (સભ્ય)
5. સીટી એન્જીનીયર, મીકેનીકલ વર્કશોપ શાખા (સભ્ય)
6. એ.સી.પી. વેસ્ટ, રાજકોટ શહેર પોલીસ વિભાગ (સભ્ય)
7. આર.ટી.ઓ. ઓફિસર, રાજકોટ આર.ટી.ઓ. વિભાગ (સભ્ય)
8. ટેકનિકલ એક્સપર્ટ, સેપ્ટ યુનિવર્સિટી (સભ્ય)
9. ટેકનિકલ એક્સપર્ટ,SVNIT (સભ્ય)
10. ટેકનિકલ એક્સપર્ટ, મિકેનિકલ વિભાગ, GEC રાજકોટ (સભ્ય)
11. ટેકનિકલ એક્સપર્ટ, IRClass (સભ્ય)
કોન્ટ્રાક્ટ હેઠળના વાહનો તેમજ RMCને સેવા આપતા તમામ વાહનો માટે સુધારાત્મક પગલા
રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પરીપત્રથી સૂચિત કરેલ છે કે તેઓના વિભાગ હસ્તકના RMC ની માલિકીના તેમજ કોન્ટ્રાક્ટ હેઠળના વાહનો તેમજ આઉટસોર્સિંગ સહિત RMC ને સેવા આપતા તમામ વાહનો માટે નીચે મુજબની વિગતે સુધારાત્મક પગલાઓનું પાલન કરવાનું રહેશે.
એજન્સી મારફત (RMC ની માલિકીના વાહનોમાં લગત શાખા દ્વારા) કાર્યરત વાહનોની યોગ્ય ચકાસણી કરી RTO/માન્ય સંસ્થાઓ દ્વારા ફીટનેસ સર્ટીફીકેટ દર વર્ષે 1 એપ્રિલ થી 30 એપ્રિલ વચ્ચે મેળવવાના રહેશે.
ભારે વાહનો માટેના ફરજ પરના ડ્રાઇવરોની વય મર્યાદા 25 થી 58 વર્ષ રહેશે તેમજ તેની પાસે ઓછામાં ઓછું ૨ વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે તથા અન્ય વાહનો માટે નિયમાનુસાર નિયત અનુભવ હોય તેને જ ફરજ પર રાખવાના રહેશે.
ડ્રાઈવરો/વાહનો/વાહનો થકી RMC ને સેવા પૂરી પાડતી એજન્સી પાસેથી બિલની સાથે નીચે મુજબની બાબતોએ સોગંદનામું લેવાનું રહેશે.
1. ફરજ પરના તમામ ડ્રાઈવરો ફિઝિકલી ફિટ છે અને તેમની પાસે વેલીડ લાઇસન્સ છે.
2. ડ્રાઈવરો પાસેથી નિયત કામના કલાકો (08) થી વધુ કામ લેવામાં આવતું નથી તેમજ સમયાંતરે રેસ્ટ આપવામાં આવે છે.
સિટી બસ અને BRTS બસના તમામ કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ થશે
રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ 80 રૂટ પર 100 CNG તથા 124 ઇલે. એમ કુલ 224 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહી છે. હાલ થયેલ દુર્ઘટનાને ધ્યાને લેતાં, અત્રેના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) જ્યાં શહેરમાં ઇનસ્ટોલ તમામ કેમેરાનું લાઇવ સ્ટ્રીમીંગ તેમજ મોનીટેરીંગ થાય છે ત્યાં અલગથી મેનપાવર રાખી શહેરમાં ચાલતી સીટી બસ સલામત રીતે વહન થાય તેનું મોનીટરીંગ કરવામાં આવશે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર દંડાશે
સિટી બસ અને BRTS બસ સેવાના સંચાલનના સુદ્રઢ મોનિટરિંગ માટે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પ્રતિ શિફ્ટ બે વ્યક્તિ લેખે કૂલ 4 કર્મચારી મુકવામાં આવશે. આ કર્મચારી દ્વારા બસના ઓવર સ્પીડ, મીસ-બસ સ્ટોપ, સીગ્નલ બ્રીચ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ તેમજ બસ તેના ટાઇમ ટેબલ પ્રમાણે ચાલે છે કે નહિ તેનું મોનીટરીંગ કરશે. જો કોઇ વાહન આ ઉપર જણાવેલ કોઇ નિયમ ઉલ્લંઘન કરતુ જણાય તો તાત્કાલિક બસ સંચાલક અને જનરલ મેનેજર (RRL) ને જાણ કરશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
વિશ્વમ એજન્સીને નોટિસ પાઠવવામાં આવી
વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા. લી. દ્વારા સીટી બસ ઓપરેશન અંતર્ગત સપ્લાય કરવામાં આવતી ઈલે. બસ દ્વારા ગત તા.16 એપ્રિલ 2025ના રોજ રાજકોટ શહેરના ઈન્દીરા સર્કલ ખાતે થયેલ ગમખ્વાર અકસ્માતમાં કુલ ૪ લોકોના મોત નિપજ્યાં હતા તથા અન્ય ૪ લોકો ગંભીર પ્રકારે ઈજાગ્રસ્ત થયા હતા . ઈન્દીરા સર્કલ ખાતે કરાયેલ અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે હેતુથી સાવચેતીના ભાગરૂપે હાલમાં કાર્યરત તમામ ઈલે.બસના ફીટનેસ સટીફીકેટ તથા તમોના હાલમાં કાર્યરત ડ્રાઈવરોના ફીઝીકલ ફીટનેસ સર્ટીફીકેટ દિવસ-૩ માં અત્રેને બીનચૂક રજુ કરવા અંગે નોટિસ આપવામાં આવેલ.