અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ રખડતા શ્વાનનો શિકાર બન્યા છે અને તેમને અકાળે જ મોત મળ્યું છે. ‘વાઘબકરી ચા’ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું શ્વાનના હુમલામાં મોત નિપજ્યું છે. મોર્નિંગ વોક માટે નીકળેલા પરાગ દેસાઇની પાછળ રખડતા શ્વાન પડ્યા હતા. જે પછી પરાગ દેસાઇ નીચે પટકાતા તેમને બ્રેઇન હેમરેજ થયુ હતુ અને બાદમાં તેમનું મોત થયું હતું.
સામાન્ય વ્યક્તિથી માંડીને મોટા ઉદ્યોગકારો પણ હવે રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે. મોર્નિંગ વોક પર નીકળેલા પરાગ દેસાઇએ અચાનક શ્વાનના હુમલાથી ગભરાઇ જઇને જીવ બચાવવા દોટ મુકી હતી અને જે પછી ઠેસ વાગતા તેઓ જમીન પર પટકાયા હતા. માથામાં ગંભીર ઇજા પહોંચતા પરાગ દેસાઇ બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું અને તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.
સરકારી ચોપડે શ્વાન કરડવાના કેસના આંકડા પર નજર કરીએ તો વાસ્તવિક સ્થિતિનો ચિતાર મળી શકે. જાન્યુઆરીમાં ડોગ બાઇટના 1040 કેસ નોંધાયા હતા,તો ફેબ્રુઆરીમાં શ્વાન કરડવાના 982 કેસ સામે આવ્યા હતા. માર્ચમાં 985, એપ્રિલમાં 1043 અને મે મહિનામાં શ્વાન કરડવાના 990 કેસ નોંધાયા, તો જૂનમાં 800 કેસ, જુલાઇમાં 855 અને ઓગસ્ટમાં 900 કેસ નોંધાયા હતા.આ આંકડા ઘટનાની ગંભીરતા દર્શાવી રહ્યો છે, પરંતુ સવાલ ત્યાં જ આવીને અટકી જાય છે કે ક્યારે AMCનું નઠોર તંત્ર જાગશે.