પૂજ્ય જલારામ બાપા વિષે વિવાદિત ટિપ્પણી મામલે વીરપુર સજ્જડ બંધ : જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને માફી માંગે એક જ માંગ
દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી ત્યાગ, સેવા અને સમપર્ણની પ્રેરણામૂર્તિ ગણાતા પૂજ્ય જલારામ બાપા પ્રત્યે ગુજરાત જ નહીં બલ્કે દેશ -વિદેશમાં રહેતા લાખો ભાવિકજનોઅતૂટ શ્રદ્ધા ધરાવે છે. જો કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા દેશભરમાં જલારામબાપના ભક્તો અને રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સાથે જ જલારામધામ વીરપુર ગામમાં સ્વામી જ્ઞાનપ્રકાશની ટિપ્પણીના વિરોધમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે અને જ્ઞાનપ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માગે તેવી રોષ સાથે માગ કરવામાં આવી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશની ટિપ્પણીના વિરોધમાં મંગળવારે વીરપુર ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં મોટો નિર્ણય લઈ મંગળવાર તેમજ બુધવારે વીરપુરગામમાં સજ્જડ બંધ રાખવા નક્કી કરાયું હતું. વીરપુર વેપારી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે, સ્વામીના બફાટ સામે સખ્ત રોષ છે. સ્વામીના નિવેદન સામે આજે અને આવતીકાલે ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે. જો કે, લોકોને મુશ્કેલી ન પડે તે માટે મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે. સાથે જ વીરપુર ગામના સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, જલારામબાપા વિષે વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર આવી બાપાના ચરણોમાં માફી માંગી લે તો આ વિવાદનો અંત આવશે.
બીજીતરફ જલારામ બાપા વિષે ટિપ્પણી બાદ વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી લઈ વિવાદાસ્પદ વીડિયો ડિલિટ કરી દીધો હોવાનું સામે વ્યુ છે. જો કે, વીરપુર જલારામમાં વસવાટ કરતા ભક્ત્તોએ સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે, સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે એક બેઠક પણ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સ્વામીએ બોલતા પહેલા અરીસો જોઈ લેવો જોઈએ : સાંસદ રૂપાલા
સંત શિરોમણી જલારામ બાપા વિષે ઘસાતું બોલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પૂજ્ય જલારામ બાપા માત્ર ગુજરાતમાં જ નહીં દેશ અને વિદેશમાં પણ વંદનીય છે, સેવા અને સમર્પણ તેમજ અન્નદાનના મહત્વને ઉજાગર કરતા સંતના ધામમાં આજે પણ લોકો પાસેથી એક પણ રૂપિયો દાન સ્વીકાર્યા વગર લાખો લોકોને હરિહરનો લાભ અપાઈ રહ્યો છે ત્યારે વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીએ અરીસામાં પોતે શું છે તે જોઈ લેવું જોઈએ તેમ કહી સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતોને જ્ઞાનપ્રકાશ સ્વામીને સમજાવવા અને આવા બાલિશ નિવેદન ન આપવા ઠપકો આપી સમજાવવા જોઈએ તેમ જણાવ્યું હતું.