ઉના કાંડમાં 10 વર્ષ બાદ વેરાવળ કોર્ટનો ચુકાદો: 5 દોષિતને 5 વર્ષની સજા, 4 યુવાનોને જાહેરમાં માર મારી ગાડી સાથે બાંધી કર્યો’તો અત્યાચાર
એક દાયકા પહેલા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગાજેલા ઉના કાંડમાં વેરાવળની કોર્ટે 5ને દોષિત ઠેરવ્યા છે જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ ગણીને છોડવા આદેશ આપ્યો છે. આ કેસમાં દોષિતોને મંગળવાર (17 માર્ચ)ના રોજ સજા સંભળાવવામાં આવી છે. વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, ત્યારે વેરાવળ સેશન્સ જજ પંડ્યા દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસ 2016માં બનેલી ઘટનાથી જોડાયેલો છે. 11 જુલાઈ 2016ના રોજ ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં અનુસુચિત જાતિના 4 યુવાનોને ગૌમાંસના આરોપમાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા જાહેરમાં લાકડીઓ અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત આરોપીઓને કાર સાથે બાંધી લાકડીઓ, પાઈપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજાર્યો હતો.
આ ચકચારભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ હતી. ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં અનુસુચિત જાતિ સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં 1 પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જ્યારે કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું હતું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતા જોતા સરકાર દ્વારા કેસની તપાસ CID ક્રાઈમ, અમદાવાદને સોંપવામાં આવી હતી. આ મામલો વેરાવળ કોર્ટમાં એટ્રો સેશન કેસ નંબર 818 હેઠળ ચાલી રહ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી બાદ આજે કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે દોષિત ઠેરવાયેલા 5 આરોપીઓને મંગળવારે સજા સંભળાવવામાં આવી હતી.
કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા મુજબ, એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ IPC કલમ 523 અને 524 હેઠળ 3 વર્ષની સજા તથા IPC કલમ 342 અને 504 હેઠળ 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત, દરેક આરોપીને રૂપિયા 5,000નો દંડ પણ ફટકારાયો છે.
