અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન 130 કિમીની ઝડપે દોડી ટ્રેન
આ ટ્રેન રાજકોટ સુધી લંબાવાય તો પોણા બે કલાકમાં અમદાવાદ પહોંચાય !!
ટ્રાયલ હોવાથી એક પણ પેસેન્જર વગર દોડી ટ્રેન : ‘કવચ ટેકનોલોજી’નો ઉપયોગ
અમદાવાદ-મુંબઈ વચ્ચે આજે 20 કોચ સાથે દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ લેવામાં આવ્યું હતું અને તે સફળ પણ થઇ હતી. અમદાવાદથી મુંબઈનું અંતર માત્ર સવા પાંચ કલાકમાં જ કાપ્યુ હતુ. જો આ ટ્રેન રાજકોટથી દોડાવવામાં આવે તો રાજકોટથી અમદાવાદનું અંતર માત્ર પોણા બે કલાકમાં જ કાપી શકાશે. ભવિષ્યમાં આ શક્યતા રહેલી છે.
અત્યારે આ રૂટ ઉપર વંદે ભારત ટ્રેન 16 કોચ સાથ ચાલી રહી છે પરંતુ આજે વંદે ભારત ટ્રેનમાં 20 કોચ સાથે 130 કીમી કલાકની ઝડપે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ટ્રેનને રવાના કરાઈ હતી. સવારે સાત વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડેલી ટ્રેન બપોરે 12.15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી.
દેશમાં પહેલી વાર 20 કોચની વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી છે. . આજની ટ્રાયલ દરમિયાન કોઈ પેસેન્જર અંદર બેસાડવામાં આવ્યા ન હતા. આ ટ્રેનની સુરક્ષા માટે 24 કલાક RPF જવાન તૈનાત કરવામાં આવ્યા છે.
ટ્રેનોની ગતિ અને સલામતી વધારવા માટે, ભારતીય રેલ્વેની ‘કવચ’ ટેક્નોલોજીનો ઉપયોગ સમગ્ર રૂટ પર કરવામાં આવી રહ્યો છે. ‘કવચ’ લગાવેલી ટ્રેનો માટે અથડામણ કરવી અશક્ય છે, કારણ કે અથડામણ પહેલા ટ્રેન ઓટોમેટિક બ્રેક લગાવશે. ડિસેમ્બર 2022 માં, પશ્ચિમ રેલ્વે પર 735 કિમી પર 90 એન્જિનમાં ‘કવચ’ ફીટ કરવા માટે 3 કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ રેલવે પર આ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વડોદરા-અમદાવાદ સેક્શનમાં 62 કિમી, વિરાર-સુરત પર 40 કિમી અને વડોદરા-રતલામ- નાગડા સેક્શનમાં 37 કિમી પર ટ્રાયલ હાથ ધરવામાં આવી છે.
‘મિશન રફ્તાર’ પ્રોજેક્ટ પાંચ વર્ષ પહેલા દિલ્હી અને મુંબઈ વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પહેલા 130 કિમી અને પછી 160 કિમી સુધી અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે. લાંબા અંતરને આવરી લેતી ટ્રેનો મુસાફરોને સલામત અને ટૂંકા સમયમાં પૂરી પાડવામાં આવશે.