જ્યાં ન જાય સ્કૂલ, ત્યાં પહોંચે ‘ઉમ્મીદ’ પ્રોજેકટ : બાંધકામ સાઇટ પર રહેતાં બાળકોને ભણાવીને ઉજ્જવળ જીવનનો પાયો ઘડે છે શિક્ષારથ
એક એવો રથ હતો જેમાં સત્યની સાથે ભગવાન શ્રીકૃષ્ણ હતા અને રાજકોટમાં એક શિક્ષણરથ છે જેમાં શ્રમિકોનાં બાળકોને શિક્ષણ આપી તેમનાં જીવનને ઉજ્જવળ બનાવવા માટે શિક્ષકોનો સંકલ્પ છે. જેમાં અત્યાર સુધીમાં 350 જેટલા બાળકો કે જેમને ક્યારેય સ્કૂલમાં પગ મૂક્યો ન હતો એવા શ્રમજીવીઓનાં સંતાનોને લખતાં વાંચતા કરી માં સરસ્વતીની આરાધના કરતા શીખવ્યા છે.

રાજકોટમાં વી. એમ. મહેતા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ શિક્ષારથની આજથી 12મી બેંચ શરૂ થઈ છે. “ઉમ્મીદ” એક શિક્ષણની આ પ્રોજેકટમાં 4 જેટલા અનુભવી અને તજજ્ઞ શિક્ષકો રાજકોટમાં અલગ અલગ ચાલતી બાંધકામ સાઈટ પર રહેતા પરિવારનાં બાળકોને શિક્ષણ આપી તેમનાં જીવનને સુધારવા માટે અભિગમ સાથે સપ્તાહમાં 4 દિવસ અભ્યાસ કરાવે છે. અત્યાર સુધીમાં આ શિક્ષારથમાં જોડાયેલા બાળકો લખતાં વાંચતા શીખી ગયા છે. જેમાંથી 30 જેટલા બાળકોએ ભણવા માટેનો ઉત્સાહ દર્શાવી સરકારી શાળામાં પ્રવેશ પણ મેળવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટ TRP ગેઇમ ઝોન સામે બનશે મનપાની ફૂડ લેબોરેટરી : 10 દિવસમાં જ આવી જશે ખાણીપીણીમાં ભેળસેળનો રિપોર્ટ

આ પ્રોજેકટનાં સુકાની ડી.વી.મહેતા જણાવે છે કે, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે અલગ અલગ રાજ્યોમાંથી કામ માટે શ્રમિકો આવે છે. જેમના બાળકોને અભ્યાસ કરવા માટેની તક મળતી નથી. બાંધકામ સાઈટ પર કામ કરતા મજૂરોના બાળકો પણ ઘણી વખત વ્યસનના રવાડે ચડી જઈ જિંદગી બગાડે છે.જો આ બાળકોમાં શિક્ષણ હશે તો તેમને ખરાબ આદત નહિ પડે અને સાથે અક્ષરજ્ઞાન પણ મળી રહેશે.આવા આશય સાથે જીનિયસ ગ્રૂપનાં વી.એમ.મહેતા ફાઉન્ડેશનએ આ શિક્ષા રથ શરૂ કર્યો છે.

આ બાળકો માટે એક ખાસ વાહન તૈયાર કરાયું છે જેમાં બાળકોને પુસ્તકો, યુનિફોર્મ અને સ્ટેશનરી સહિતની વસ્તુઓ પણ આપવામાં આવે છે.એક અઠવાડિયામાં આ રથને નક્કી કરાયેલા સ્થળે લઈ જઈ ઓડિયો અને વીડિયો તો જ્ઞાન સાથે ગમ્મત થકી અભ્યાસ કરાવીએ છીએ.