ગુજરાત અને તામિલનાડુના વિદેશ નાસી ગયેલા બે મોટા આરોપીઓ સીબીઆઇના સકંજામા
નાણાકીય છેતરપિંડીને રોકવા માટે સરકાર અને એજન્સીઓ તરફથી સતત જાગૃતિ અભિયાન ચલાવાઇ રહ્યું છે છતાં લોકો શિકાર બની રહ્યા છે અને આવી સ્થિતિમાં જ સીબીઆઇએ મોટી સફળતા મેળવી હતી.

દેશમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા ગુજરાતના વિરેન્દ્ર પટેલ અને તામિલનાડુના જનાર્દન સુંદરમ નામના બે ભાગેડુઓને ઇન્ટરપોલની મદદથી સીબીઆઇ દ્વારા પકડી લેવાયા છે.
અધિકારીઓએ મીડિયાને એવી માહિતી આપી હતી કે સીબીઆઇએ તામિલનાડુ પોલીસ દ્વારા વોન્ટેડ જનાર્દન સુંદરમ બેંગકોક એરપોર્ટ પર પહોંચ્યો કે તેને અટકાવી દેવાયો હતો અને ભારત મોકલી દેવાયો હતો અને સીબીઆઇએ કોલકત્તા થી તેને પકડી લીધો હતો અને તેને તામિલનાડુ પોલીસના હવાલે કરી દીધો હતો.
એ જ રીતે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ વિરેન્દ્ર પટેલ નામના ભાગેડુને સીબીઆઇ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી પકડી લેવામાં આવ્યો હતો આ બંનેની સામે ઇન્ટરપોલ ની રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી. વિરેન્દ્ર પટેલ સામે રૂપિયા 77 કરોડનો ગોટાળો અને છેતરપિંડી કરવાનો આરોપ છે. ગુજરાત પોલીસે 2002માં તેની સામે કેસ દાખલ કર્યો હતો.
તામિલનાડુના સુંદરમને 28મી જાન્યુઆરીના રોજ બેંગકોક યાત્રા દરમિયાન રેડ કોર્નર નોટિસના આધાર પર એરપોર્ટ પર એન્ટ્રી કરવાથી રોકી દેવાયો હતો અને તેને ભારત મોકલી દેવામાં આવ્યો હતો ત્યારબાદ બાતમીને આધારે સીબીઆઇના અધિકારીઓએ તરત જ કોલકત્તા એરપોર્ટ પર પહોંચીને તેને પકડી લીધો હતો.