મોરબીનાં માળિયા સુરજબારી પાસે ટ્રિપલ અકસ્માત : કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા 4 લોકો જીવતા ભૂંજાયા
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે આજે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના મોરબીમાં સામે આવી છે જેમાં 2 વિદ્યાર્થી સહીત 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મોરબીનાં માળિયા સુરજબારી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ લાગતા ફાયરની ટિમ અને મેડિકલની ટિમ પણ બનાવસ્થળે પહોંચી હતી અને આગ પાર કાબુ મેળવીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે અને અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સામખિયાળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર આ ઘટના મોરબી-કચ્છ હાઇવે પર માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે બની હતી જ્યાં સૂરજબારી પુલ નજીક ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પુલ પર એક કન્ટેનર પલટી મારી જતા તેની પાછળ આવતી એક ટ્રકે લેન બદલવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન પાછળ આવતી કાર ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ટ્રકમાં અને કારમાં સવાર 2-2 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા મોરબી અને ભચાઉ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પાર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં ડ્રોન અને AIથી ક્રાઉડ કંટ્રોલ થશે : અઘોરી ગ્રુપ,રાજભા ગઢવી સહિતના કલાકારો કરશે જમાવટ,15 લાખની જનમેદની ઉમટશે
કાર ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં ભીષણ આગ લાગતા અર્ટિગા કારમાં સવાર બે બાળકો અને ટેન્કરના ડ્રાઇવર તેમજ ક્લીનર સહિત કુલ ચાર વ્યક્તિ ભડથું થઇ ગયા હતા. અર્ટિગા કારમાં સવાર અન્ય સાત વ્યક્તિને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખિયાળી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની યાદી
રુદ્ર ગોપાલભાઈ ગુજરિયા – ઉંમર 15 વર્ષ, રહે. મીઠી રોહર, ગાંધીધામ, કચ્છ.
જૈમીન જગદીશભાઈ બાબરિયા – ઉંમર 17 વર્ષ, રહે. મીઠી રોહર, ગાંધીધામ, કચ્છ.
શિવરામ મંગલરામ નાઈ – રહે. બિકાનેર, રાજસ્થાન.
એક મૃતકની ઓળખ હજી બાકી છે
પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવાની કાર્યવાહી
રાત્રે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જેમાં 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કાર ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી ત્યારે ઘટનાની જાણ ફાયરની ટિમ તેમજ પોલીસને કરવામાં આવી હતી ત્યારે માળીયા તાલુકા પોલીસ તથા મોરબી જિલ્લા એસપી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ મેળવવા માટે તપાસ ચાલી રહી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
