સમય રૈનાની મુશ્કેલીમાં વધારો !! India’s Got Latentના બધા વિવાદાસ્પદ એપિસોડ ડિલીટ થશે, ગુજરાતમાં શો થયા રદ
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના એક એપિસોડ પર યુટ્યુબર-ઇનફ્લુએન્સર રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, અપૂર્વ માખીજા અને અન્ય લોકો ભારે ટીકા તેમજ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. શો દરમિયાન અલ્હાબાદિયાની ‘અશ્લીલ’ ટિપ્પણીઓએ લોકોને ગુસ્સે કર્યા છે. ટિપ્પણીઓ પર વિવાદ વધતાં, મહારાષ્ટ્ર સાયબર વિભાગે મંગળવારે યુટ્યુબ રિયાલિટી શોના તમામ મહેમાનો સામે FIR દાખલ કરી.
ભાગ લેનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
સાયબર સેલે કહ્યું છે કે અમે શોના તમામ 18 એપિસોડની તપાસ કરી રહ્યા છીએ. આ 18 એપિસોડમાં ન્યાયાધીશ તરીકે ભાગ લેનારા અને અપશબ્દોનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, શોમાં પ્રેક્ષકો તરીકે આવેલા લોકોના નિવેદનો સાક્ષી તરીકે નોંધવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શોમાં ભાગ લેનાર અને અપશબ્દોનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબને પત્ર લખીને કહ્યું છે કે આ શોના તમામ એપિસોડ, જેમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને ડિલીટ કરી દેવા જોઈએ.

બધા 30 ગેસ્ટને સમન્સ મોકલવામાં આવ્યા
મહારાષ્ટ્ર સાયબર વિભાગે મંગળવારે ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શોમાં અત્યાર સુધીમાં ભાગ લેનારા લગભગ 30 ગેસ્ટને સમન્સ મોકલવામાં આવ્યા છે. રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સાયબર વિભાગે સ્વતઃ FIR નોંધી છે.
શોના બધા એપિસોડ દૂર કરવા પડશે
વિભાગે આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને શોના તમામ 18 એપિસોડ દૂર કરવા જણાવ્યું છે. તપાસ દરમિયાન, સાયબર વિભાગને જાણવા મળ્યું કે શોમાં ભાગ લઈ રહેલા મહેમાનો અને અન્ય સહભાગીઓએ ‘અશ્લીલ અને અભદ્ર’ ભાષાનો ઉપયોગ કર્યો હતો. આવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં શોના ન્યાયાધીશો અને મહેમાનોનો સમાવેશ થાય છે.
વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં આયોજિત બધા જ શોની લગભગ તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. ત્યારે ભારે વિવાદ બાદ અમદાવાદ અને વડોદરામાં સમય રૈનાનો શો કેન્સલ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદ, વડોદરામાં સમય રૈનાનો શો કેન્સલ
સમય રૈનાના શોને લઈને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ મોટા વિવાદમાં આવી ગયું છે. આ પછી અમદાવાદના શોના આયોજક નિરવ રાજગોરે ભૂલ સ્વીકારી છે. સાથે જ જણાવ્યું કે વિવાદના કારણે શો નહીં કરીએ. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આયોજિત થનારા શોની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. સાથે જ વડોદરામાં આયોજિત શો પણ કેન્સલ કરી દેવામાં આવ્યો છે.