આ છે ગુજરાતનું શ્રાપિત ગામ : 300 વર્ષથી નથી પ્રગટાવવામાં આવી હોળી, ઘટનાના પુરાવા આજે પણ મળે છે
આજે સમગ્ર ભારતમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તમને જણાવીએ એક એવા ગામ વિશે કે જ્યાં અંદાજિત છેલ્લા 300 વર્ષથી હોળીનો તહેવાર નથી ઉજવાતો.
જ્યારે આજે આખુ ગુજરાત હોળી ઉજવી રહ્યું છે. આજના દિવસે સાંજે હોળિકા દહન થશે, જેમાં બુરાઈઓનું પણ દહન થવાની માન્યતા છે. હોળિકા દહન પૌરાણિક રીતે ખેડૂત માટે પણ મહત્વનું છે. કારણ કે આપણે ત્યાં હોળીની ઝાળ પરથી ચોમાસું કેવું રહેશે તેનો વરતારો કરવામાં આવે છે. પરંતુ આટલા મહત્વના હોળી પર્વની આપણાં ગુજરાતના એક ગામમાં ઉજવણી થતી જ નથી . આજથી નહીં છેલ્લા 300 વર્ષથી ગુજરાતના આ ગામના લોકોએ હોળિકા દહન કર્યું નથી.
બટાકા નગરીમાં ૩૦૦ વર્ષથી નથી થતી હોળીની ઉજવણી
હોળીનો તહેવાર આમ તો ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં સૌથી વધારે ઉજવાય છે. રાજસ્થાનથી રોજગાર અર્થે ગુજરાત આવતા લોકો એક સમયે દિવાળી પર પોતાના વતનમાં ન જાય પણ હોળી વખતે તો વતનમાં જતાં જ હોય છે. આ રાજસ્થાનને અડીને આવેલો છે આપણો બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠામાં બટાકા નગરી તરીકે ઓળખાતું ડીસા અને આ તાલુકામાં આવેલ રામસણ ગામ. જ્યાં લગભગ છેલ્લા ૩૦૦ વર્ષની હોળીની ઉજવણી કરવામાં નથી આવતી. આ પાછળનો ઇતિહાસ પણ ખરેખર ચોંકાવનારો છે. હવે તમને થશે કે હોળીના દિવસે આ રામસણ ગામના લોકો શું કરે છે? આ સાથે ધૂળેટીના દિવસે પણ પરંપરા મુજબ ઉજવણી કરે છે કે કેમ? આવા જ સવાલો અમને પણ થયા, અને અમે તેમના જવાબ મેળવવાની કોશિશ કરી.
શું હતી એ ઘટના ? કેમ રામસણમાં નથી ઉજવાતી હોળી ?
તેઓ ગામનું પૌરાણિક નામ રામેશ્વર છે, એવું પણ કહેવાય છે કે, ભગવાન શ્રીરામે અહીંયા આવીને પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 12 હજારની વસ્તી છે. તેમણે કહ્યું કે, અમારા ગામમાં અંદાજે ૩૦૦ વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી, પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી. હોળિકા દહન માટે લાગેલી આગે આખા ગામનો ભરડો લીધો અને મોટી સંખ્યામાં ઘર આ આગમાં બળીને ખાક થઈ ગયા. લોકોના માથેથી છત જતી રહી, મહેનત મૂડી પણ બળી ગઈ. રાતો રાત ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય કંઈ જ ન બચ્યું. મોજમજાના પર્વનો દિવસ ગામમાં સન્નાટો લઈને આવ્યો. બસ તે ઘડી અને આજનો દિ’, આ ઘટનાથી ગામલોકો એટલા ગભરાયા કે ત્યારથી આજ સુધી ગામમાં હોળીની ઉજવણી નથી થતી, હોળિકા દહન નથી થતું.
ઘટનાના આજે પણ છે પુરાવા ?
તેઓના ગામમાં વર્ષો પહેલા લાગેલી આગમાં આખું ગામ બળીને ખાખ થઈ ગયું હતું. વર્ષો પહેલા હોળી પ્રગટાવવાની સાથે ગામમાં આગ લાગી અને તેના પુરાવા આજે પણ ગામમાં મળી આવે છે વધુ માં જાણવા મળ્યું કે, આજે પણ કોઈ ખોદકામ થાય ત્યારે જમીનમાંથી કોલસા કે રાખ જોવા મળે છે. આ ગામમાં આજે પણ હોળી જેવા પવિત્ર પર્વ ને ગ્રામજનો અશુભ માની રહ્યા છે અને હોળીના દિવસે હોળી પ્રગટાવવાની જગ્યાએ મંદિરમાં નાળિયર મૂકી દર્શન કરી પ્રસાદી વહેંચી આ પર્વની ઉજવણી કરે છે.
અન્ય પણ લોકવાયકા આવી સામે
લોકવાયકા મુજબ વર્ષો અગાઉ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે, હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. જે બાદમાં હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી ગઈ હતી અને આ ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ ફરી બે વાર ફરી હોળી મનાવવા માટે પ્રયાસ કરાયો પરંતુ ત્યારે પણ ગામમાં આગ લાગી હતી. આ તરફ આખું ગામ આગની ચપેટમાં આવી ગયું હતું. જેને લઈ ગામના લોકોએ ભેગા થઈ હોળી પર પ્રતિબંધ ફરમાવી દીધો અને એ ઘડીને આજનો દિવસ રામસણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.