રાજકોટમાં પાણી કાપ નહીં આવે…બે મહિના ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ : પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા
સરકાર દ્વારા ચોમાસા પહેલાં નર્મદા ડેમમાંથી જે જે જિલ્લામાં કેનાલ મારફતે પીવાના તેમજ સિંચાઈના પાણીની લાઈન પસાર થાય છે અને જ્યાં કેનાલ રિપેરિંગ માગે છે તેને આજથી બંધ કરવાની જાહેરાત કરાતાં જ રાજકોટમાં ઉહાપોહ મચી ગયો હતો અને પાણીકાપ આવશે તેવી ચિંતા શરૂ થઈ જવા પામી હતી. આ પછી શાસકો ગાંધીનગર દોડી ગયા હતા અને પાણીની પૂરતી વ્યવસ્થા કરવાની રજૂઆત પાણી પૂરવઠા મંત્રીને કરી હતી.
દરમિયાન ૨૬ માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં પાણીકાપ નહીં જ આવે તેવી જાહેરાત કર્યા બાદ સોમવારે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ પાણીકાપની વાતનો છેદ ઉડાડતાં રાજકોટને બે મહિના ચાલે તેટલું પાણી આજી અને ન્યારી ડેમમાં ઉપલબ્ધ હોવાની જાહેરાત કરી હતી.
કુંવરજીભાઈએ જણાવ્યું કે બન્ને ડેમમાં પીવાનું પૂરતું પાણી રહેલું છે એટલા માટે પાણીકાપ મુકવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. નર્મદા કેનાલનું રિપેરિંગ ભલે શરૂ થાય પરંતુ તેના પહેલાં અમે દરેક શહેર-જિલ્લા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે અને પછી જ કેનાલ બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ છતાં જો કેનાલ બંધ રહેશે તો પણ પીવાના પાણીનું વિતરણ કરતી લાઈન ચાલું જ રાખવામાં આવશે. ખાસ કરીને રાજકોટ શહેર કે જિલ્લાએ પીવાના પાણી અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજી અને ન્યારી ડેમ અત્યારે ૯૫% ભરેલા છે અને તે પાણી પૂર્ણ થશે એટલે તુરંત જ બીજું પાણી સૌની યોજના મારફતે ઠાલવવામાં આવશે.
