રાજકોટમાં બારે’ય મહિનાની મસાલા અને અનાજ ભરવાની સિઝન થશે શરૂ: મરચામાં ભાવ વધારોનો ‘તડકો’
હવે હોળી-ધુળેટીનાં તહેવાર સાથે બારે મહિનાના મસાલા,અનાજની સિઝન શરૂ થઈ જશે.જો કે આ વખતે મસાલામાં ભાવ વધારાનો તડકો મહિલાઓને લાગે તો નવાઈ નહિ..!! કમોસમી વરસાદને કારણે મરચામાં ભાવ વધતાં ગ્રાહકોને તેની તીખાશ લાગશે.
રાજકોટનાં અલગ અલગ વિસ્તારમાં હવે “મરચાંપીઠ” ઘમઘમવા લાગશે.પરંતુ તેના પહેલાં જ લાલ મરચાં પાઉડરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં બજારમાં લાલ મરચાં પાઉડરનો ભાવ પ્રતિ કિલો અંદાજે 350થી 400 રૂપિયા સુધી પહોંચ્યો છે.
દર વર્ષે હોળી પછી મસાલાની સિઝન શરૂ થઈ જાય છે.ઘર માટે આખા વર્ષની મસાલાની ખરીદી કરવાની પ્રથા હોવાથી મહિલાઓ મરચાં પાઉડર સહિતના મસાલાની આગોતરી ખરીદી શરૂ કરે છે. આ કારણે બજારમાં માંગ ધીમે ધીમે વધી રહી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં સ્ટોક પૂરતો છે, આપણે ત્યાં ગોંડલનું મરચું વિશ્વ વિખ્યાત છે. અહીં રેશ્મપટ્ટો, કાશ્મીરી, ઘોલર મરચુંનો ઉપાડ વધુ રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે મસાલા માર્કેટ શરૂ થયા બાદ માંગ વધુ વધશે. લાલ મરચાં પાઉડરનો ભાવ પ્રતિ કિલો 500થી 600 રૂપિયા સુધી પહોંચી શકે છે.આ વર્ષે લાલ મરચાંના પાકને પાછોતરા વરસાદથી નુકસાન થયું હતું, જેના કારણે ઉત્પાદન ઓછું થયું છે.
આ પણ વાંચો: ગેટ વે ઓફ મેડિસિનની ‘નીટ’ની પરીક્ષા 3 મેએ લેવાશે: લાખો વિદ્યાર્થીઓ ડોકટર બનવાનું સ્વપન પૂરું કરવા નીટની પરીક્ષા આપશે
લાલ મરચાં સિવાય હળદર,ધાણાજીરું સહિત મસાલાના ભાવ પણ વધવાની શક્યતા છે. ધાણા આ વર્ષે 200થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે, જ્યારે જીરું રીટેઈલ બજારમાં 300થી 400 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે. હળદરના ભાવ પણ 300થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી રહેવાની શક્યતા છે. ભાવ વધુ વધે તે પહેલાં ઘણી મહિલાઓ અત્યારે જ મસાલાની ખરીદી કરી કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. વેપારીઓ પણ આવનારા દિવસોમાં માંગ વધવાની આશા સાથે સ્ટોક તૈયાર કરી રહ્યા છે.હવે મસાલા માર્કેટ શરૂ થયા બાદ મસાલાના ભાવમાં કેટલો વધારો થાય છે, તેની ઉપર સૌની નજર છે.
