રેડી, સ્ટેડી, ગો: આજે વર્લ્ડકપનો સૌથી તાકાતવર’ મુકાબલો: ભારત-પાકિસ્તાન આમને-સામને
ફાઈનલમાં જે ટીમ ટકરાય તે, ક્રિકેટરસિકો માટે તો આ મેચ જ ફાઈનલ'
અમદાવાદમાં બપોરે ૨ વાગ્યાથી ટક્કર શરૂ, દર્શકોને ૧૦ વાગ્યાથી એન્ટ્રી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને અભેદ્ય કિલ્લો બનાવતી સુરક્ષા એજન્સીઓ
૧.૩૨ લાખ દર્શકો સ્ટેડિયમ, કરોડો લોકો ટીવી પર નિહાળશે રોમાંચક જંગગુજ્જુ' ખેલાડી હાર્દિક-રવીન્દ્ર-બુમરાહની ધમાલ જોવા સૌ આતૂર પેટા: અમિત શાહ, અમિતાભ બચ્ચન, રજનીકાંત સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિ પેટા: મેચ પહેલાં અરિજીત સિંઘ-શંકર મહાદેવન-સુખવિંદરસિંઘનું પરફોર્મન્સ પેટા: ટિકિટ માટે છેલ્લી ઘડી સુધી દોડધામ વૉઈસ ઑફ ડે, અમદાવાદ ક્રિકેટરસિકો હંમેશા જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હોય છે તે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં આજે કાંટે કી ટક્કર થવાની છે. બીજી બાજુ વર્ષો બાદ અમદાવાદમાં મહામુકાબલો રમાનાર હોય ખાસ કરીને ગુજરાતી ક્રિકેટરસિકો આ મેચને નિહાળવા માટે ગાંડાતૂર જોવા મળી રહ્યો છે. એકંદરે વર્લ્ડકપમાં હજુ ઘણી બધી મેચ બાકી છે.
પરંતુ મોટાભાગના દર્શકો એકીસૂરે કહી રહ્યા છે કે ફાઈનલમાં જે પહોંચે તે પણ અમારા માટે તો આ જ મેચ
ફાઈનલ’ ગણાશે ! આ જ કારણથી આ મેચને વર્લ્ડકપનો સૌથી `તાકાતવર’ મુકાબલો ગણવામાં આવી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બપોરે ૨ વાગ્યાથી આ મેચ શરૂ થશે પરંતુ દર્શકોને ૧૦ વાગ્યાથી પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાશે. બીજી બાજુ ખાલિસ્તાની આતંકીઓની ધમકીને ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓએ સ્ટેડિયમને અભેદ્ય કિલ્લામાં તબદીલ કરી દીધું છે અને ૧૦,૦૦૦થી વધુ જવાનો બંદોબસ્ત માટે તૈનાત થઈ ચૂક્યા છે.
સ્ટેડિયમની ક્ષમતા ૧.૩૨ લાખ દર્શકોની છે જે ભરચક્ક થઈ ચૂક્યું છે ત્યારે આટલા દર્શકો સ્ટેડિયમની અંદર તો કરોડો દર્શકો ટીવી પર આ મુકાબલો નિહાળશે. ખાસ કરીને ગુજરાતના આંગણે આ મેચ રમાઈ રહી હોય ભારતીય ટીમમાં ત્રણ-ત્રણ ગુજ્જુ ખેલાડી જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા સામેલ હોય તેમની ધમાલ જોવા માટે દર્શકો રીતસરના આતૂર છે. આ મેચમાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, રજનીકાંત સહિતના દિગ્ગજો ખાસ ઉપસ્થિત રહેશે. મેચ પહેલાં એક કાર્યક્રમ યોજાશે જેમાં બોલિવૂડ સિંગર અરિજીતસિંઘ, શંકર મહાદેવન, સુખવિંદર સહિતના કલાકારો પોતાના અવાજનો જાદૂ પાથરશે. આટલો હાઈવોલ્ટેજ મુકાબલો હોય ટિકિટ મેળવવા માટે ક્રિકેટરસિકો છેલ્લી ઘડી સુધી દોડધામ કરી રહ્યા છે.