રાઇડ્સ સંચાલકોને દુખે છે પેટ અને કૂટે છે માથું : કહેવાતા રાઇડ્સ સંચાલકો પાસે પોતાની રાઇડ્સ જ નથી
આગામી 14થી 18 ઓગસ્ટ દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળાના ફોર્મ વિતરણના પ્રારંભ સાથે જ કહેવાતા રાઇડ્સ સંચાલકોએ એસઓપી પાલનને લઈ કાગારોળ મચાવી લોકમેળાના પ્રારંભ પૂર્વે જ તંત્રને બાનમાં લેવા લોકમેળાનો બહિષ્કાર કરવાની ચમકી ઉચ્ચારી છે ત્યારે નરી વાસ્તવિકતા તો એ છે કે, રાઇડ્સ સંચાલકોને નામે ઉલાળકા મારતા રાજકોટના એક પણ ધંધાર્થી પાસે માલિકીની રાઇડ્સ જ નથી. રાજકોટના અને અમદાવાદના મોટાભાગના ધંધાર્થીઓ લોકમેળામાં હરરાજીમાંથી પ્લોટ મેળવી લીધા બાદ રાજસ્થાનથી આવતા રાઇડ્સ સંચાલકો સાથે ભાગબટાઈ કરી અથવા તો પ્લોટ બારોબાર વેચી મારતા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરમાં છેલ્લા 42 વર્ષ કરતા વધુ સમયથી યોજાતા ભાતીગળ લોકમેળામાં છેલ્લા દાયકામાં યાંત્રિક રાઈડસના ધંધાર્થીઓ દર વર્ષે લોકમેળાના આયોજક એવા જિલ્લા વહીવટીતંત્રને બાનમાં લેવા પ્રયાસ કરે છે. ગત વર્ષે એસઓપી પાલનની ગેરંટી આપ્યા બાદ રાઇડ્સના ધંધાર્થીઓએ હાઇકોર્ટમાં કાનૂની દાવ ખેલી કલેકટર તંત્રને દોડાદોડી કરાવ્યાનું જગજાહેર છે ત્યારે અગાઉના વર્ષોમાં રાઇડ્સના ટિકિટ દરને લઇ રાઇડ્સ સંચાલકો હરરાજીનો બહિષ્કાર કરવા તેમજ મેળા નહીં યોજવા દેવાની ચીમકી આપી તંત્રને દબાવવા પ્રયાસો કર્યાનું પણ તંત્રના ચોપડે નોંધાયેલું છે. આ વર્ષે પણ લોકમેળા સમિતિએ ધંધાર્થીઓની સહુલિયત માટે ટિકિટ દરમાં વધારો કરવાની સાથે બે મહિના પહેલા ફોર્મ વિતરણ કર્યું હોવા છતાં રાઇડ્સ સંચાલકોએ આદત મુજબ તંત્રનું નાક દબાવવા પ્રયાસ કર્યો છે.
લોકમેળામાં રાઇડ્સનો ધંધો કરતા ધંધાર્થીઓના જણાવ્યા મુજબ રાજકોટના મોટાભાગના ધંધાર્થીઓ પાસે રાઇડ્સ નથી. સાથે જ મોટાભાગની રાઇડ્સનું સંચાલન કરતા લોકો પણ પરપ્રાંતીય હોય છે જેઓ બારે મહિના દેશભરમાં યોજાતા અલગ અલગ મેળામાં રોજગારી મેળવતા હોય છે. ખાસ કરીને રાજકોટ સહિત ગુજરાતમાં પણ શ્રાવણમાસમાં મેળાની સીઝન આવતા આ ધંધાર્થીઓ ગુજરાતમાં આવતા જ સ્થાનિક રાઇડ્સના ધંધાર્થી આવા પરપ્રાંતીય ઠેકેદારો સાથે સંપર્ક કરી અલગ અલગ મેળાઓ માટે રાઇડ્સ બુક કરાવતા હોય છે ત્યારે સ્વાભાવિક પણે જ સ્થાનિક લોકો પાસે રાઇડ્સના બિલ, જીએસટી નંબર, રાઇડ્સ ચલાવવાનું સર્ટિફિકેટ કે અન્ય જે બાબતો એસઓપીઓમાં સમાવિષ્ઠ છે તે ન હોવાથી જ અત્યારથી વિરોધ કરી માહોલ બગાડવા માટે પ્રયાસો થઇ રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : બહિષ્કારનું સૂરસૂરિયું ! રાજકોટ લોકમેળામાં રાઇડ્સ માટે 20 ફોર્મ ઉપડયા
બીજી તરફ પાંચ દિવસના લોકમેળામાં લાખોની કમાણી થતી હોવાથી અમદાવાદ અને સુરતના ધંધાર્થીઓ પણ રાજકોટના લોકમેળામાં કમાણી કરવા ઉત્સુક હોવાનું અને હાલમાં વિરોધમાં ઉતરેલા રાઇડ્સ સંચાલકો સામે સુરતના ધંધાર્થીઓ પણ આ વખતે રાજકોટના મેળામાં ઝંપલાવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે. સાથે જ જિલ્લા વહીવટીતંત્ર પણ અન્ય રાજ્યના ધંધાર્થીઓનો સંપર્ક કરી લોકમેળામાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર એટલે કે, એસઓપી પાલન સાથે રાઇડ્સ ચાલુ રહે તે માટે પ્રયાસરત હોવાનું જાણવાં મળે છે.
એક પ્લોટમાં એકને બદલે એકથી વધુ રાઇડ્સ નાખવાનો પણ ખેલ
સામાન્ય રીતે લોકમેળા સમિતિ દ્વારા યાંત્રિક રાઇડ્સ માટે અલગ અલગ કેટેગરીમાં 45 ફૂટ બાય 70 ફૂટ, 50 ફૂટ બાય 55 ફૂટ, 50 ફૂટ બાય 80 ફૂટ તેમજ 60 ફૂટ બાય 80 ફૂટ સાઈઝના પ્લોટની ફાળવણી કરી એક પ્લોટમાં એક જ રાઇડ્સ માટે જગ્યા આપવામાં આવતી હોય છે પરંતુ રાજકોટના સ્થાનિક ધંધાર્થીઓ હરરાજીમાં આવા પ્લોટ મેળવી લીધા બાદ પરપ્રાંતીય રાઇડ્સ ધારકોને ઉંચા ભાડે અથવા તો ઉધડ઼ા રૂપિયામાં પાંચ દિવસના મેળા માટે સોદા કરી બાદમાં એક જ પ્લોટમાં અન્ય નાની રાઇડ્સ પણ ફિટ કરી પાંચ દિવસના ધંધામાં વર્ષની કમાણી કરી લેતા હોવાનું મેળાના ધંધાર્થીઓ જ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : આજે ગ્રામ પંચાયતોનું ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ : સરપંચ બનવા માટે 249 ઉમેદવારો મેદાને
તરણેતર -જડેશ્વરમાં લવેલ વગરની જમીન છતાં પણ મેળા યોજાય છે
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસકોર્સની બદલે સ્માર્ટ સિટીમાં અટલ સરોવર પાસે મેળો યોજવા માટે મેદાન લેવલીંગ કરવું પડે તે માટે સરકાર પાસેથી 18 કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે ત્યારે બીજી તરફ વાંકાનેરના જડેશ્વર ખાતે દર વર્ષે લેવલ વગરના ઉબડ ખાબડ મેદાનમાં જ વર્ષોથી મેળો યોજાઈ રહ્યો હોવાનું તેમજ થાન નજીક તરણેતરમાં પણ ઉબડ-ખાબડ ગ્રાઉન્ડમાં જ મેળો યોજાઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં નેતાગીરી અને અમલદારોની ઈચ્છા શક્તિના અભાવના કારણે જ શહેરીજનોને પાંચ-પાંચ દિવસ બાનમાં લેવા માટે શહેરની વચ્ચોવચ્ચ ટ્રાફિક સમસ્યા હોવા છતાં મેળો શહેર બહાર ખસેડવા માટે ઈચ્છા ન હોવાનું સામે આવ્યું છે.