રાજકોટના જંગલેશ્વરના 1358 દબાણકારો મામલે હવે ગમે ત્યારે થશે ધડાકો: મહેસુલ પંચ દ્વારા ગમે ત્યારે ચૂકાદો જાહેર કરશે
રાજકોટ જિલ્લા કલેક્ટર હસ્તકની એક લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર ઉભેલા 1358 દબાણો, મિલકતો સંદર્ભે ગુજરાત મહેસુલ પંચમાં હાઈકોર્ટની સૂચનાને આધિન કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોય હવે ગમે તે ઘડીએ કોઈપણ ચૂકાદો આવે તેવી સંભાવના છે તેવું સૂત્રોમાંથી જાણવા મળે છે.
દબાણકર્તાઓને દબાણો દૂર કરવા સંદર્ભે ડિમોલિશનની અપાયેલી આખરી નોટિસમાં હાઈકોર્ટ દ્વારા 90 દિવસની રાહત અપાઈ હતી અને રાજ્યના મહેસુલ પંચને અરજી સંદર્ભે કાર્યવાહી કરી રિપોર્ટ આપવા આદેશ કરાયો હતો.
કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોવાનું અને હવે મહેસુલ પંચ દ્વારા ગમે ત્યારે કાર્યવાહી સંદર્ભે ચૂકાદો જાહેર કરશે. મહેસુલ પંચના રિપોર્ટમાં દબાણકર્તાઓની તરફેણમાં કોઈ નિર્ણય લેવાયો. હશે કે તેના તરફ હવે તંત્ર અને દબાણકર્તાઓની મીટ મંડાયેલી હશે.
રાજકોટના જંગલેશ્વરમાં 350 કરોડની જમીન ખુલ્લી
રાજકોટના ઈતિહાસમાં ક્યારેય ન થયું તેવું મેગા ડિમોલિશન વોર્ડ નં.16ના જંગલેશ્વરમાં બે દિવસ સુધી ચાલ્યા બાદ બુધવારે ‘તોડફોડ’ પૂર્ણ કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ આજી નદીનો પટ અને 15 મીટર (45 ફૂટ)નો રોડ જે બાપુનગરથી નાડોદાનગર સુધી આવેલો છે, તે બન્નેની મળી કુલ 350 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી થઈ હોવાથી હવે જંગલેશ્વરમાંથી વાહનો સરળતાથી પસાર થઈ શકશે, સાથે સાથે ચોમાસામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે બાપુનગરથી નાડોદરાનગર સુધીનો સવા બે કિલોમીટરનો ટાઉન પ્લાનિંગ હેતુનો રોડ તથા શાળા નં.70થી પૂર્વ બાજુએ આવેલા આજી નદી પટ વિસ્તારમાં કુલ 88750 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. અહીં 1489 મકાન, દુકાન, ઓરડીઓનું બાંધકામ હતું જેને તોડી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન પાછળ કુલ 1512 અધિકારીઓ-કર્મચારીઓની ટીમ તેમજ 261 જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર, હિટાચી સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રમાણે 33642 માનવ કલાક અને 5472 મશીનરી કલાકે આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.
