અમદાવાદ-ગાંધીનગરમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા આતંકીઓ !
ISISના આતંકવાદીની કબુલાતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
મુંબઈમાં નરીમાન હાઉસ અને ગેટ-વે ઓફ ઇન્ડિયા પણ નિશાના ઉપર હતા
આતંકી સંગઠન ISIS ની મોટી આતંકી યોજનાનો ખુલાસો થયો છે. પોલીસે પકડેલા એક આતંકવાદીની કબૂલાતથી જાણવા મળ્યું છે કે તેમનું કાવતરું દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી વિસ્ફોટને અંજામ આપવાનું હતું. ISISનું ટાર્ગેટ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર હતું. તેની યોજના અહીં મોટા બોમ્બ વિસ્ફોટ કરવાની હતી. આ સિવાય ISIS મુંબઈમાં નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકી હુમલા કરવાની પણ યોજના બનાવી રહ્યું હતું. સાથોસાથ દેશના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા.
ISISના આતંકવાદી શાહનવાઝ આલમે કહ્યું કે, ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓ નિયમિતપણે રેકી કરવામાં આવતી હતી અને ત્યાંની તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવતી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.
શાહનવાઝના કહેવા પ્રમાણે તેની પત્ની હિંદુ હતી જેને તેણે ઈસ્લામ કબૂલ કરીને મુસ્લિમ બનાવી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં થઈ હતી અને તેમની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો. શાહનવાઝના ગુરુ અનવર અવલાકી હતો, તે અલ કાયદાનો ટોચનો આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને આઈએસઆઈએસ હેન્ડલર્સના જૂથોમાં જોડાયો.
હિઝબુલ તાહિર યુવાનોને ભડકાવી રહ્યું છે!
2016થી જામિયામાં રહેતા શાહનવાઝે જણાવ્યું કે, તે મુસ્લિમ સંગઠન હિઝબુલ તાહિર સાથે જોડાયો હતો અને અહીં તે જેહાદી વિચાર ધરાવતા ઘણા યુવાનોને મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઘણા દેશોમાં તે પ્રતિબંધિત સંગઠનની શ્રેણીમાં આવે છે અને તાજેતરમાં NIAએ દેશમાં તેના સ્થળો પર દરોડા પાડ્યા હતા.
શાહનવાઝના જણાવ્યા અનુસાર ફરાર ISIS આતંકવાદી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને તે હિઝબુલ તાહિરની મીટિંગમાં તેને મળ્યો હતો. આટલું જ નહીં, AMUના ઘણા વિદ્યાર્થીઓએ હિઝબુલ તાહિરની સભાઓમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો. શાહનવાઝ તેના સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો જ્યાં તે ISISના ટોચના નેતા પાસેથી ટ્રેનિંગ લેવા માંગતો હતો. હવાલા દ્વારા પુણેના તમામ આતંકવાદીઓને સમયાંતરે પૈસા મોકલવામાં આવતા હતા જેનો ઉપયોગ તેઓ બોમ્બ બનાવવા અને ટ્રેનિંગ કેમ્પમાં કરતા હતા.