વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કુલે મોબાઈલ નહી લઇ જઈ શકે
રાજ્ય સરકાર દ્વારા તૈયાર થઇ રહેલી ગાઈડલાઈનની ટૂંક સમયમાં થશે જાહેરાત
વાલીઓ પણ સપ્તાહમાં એક દિવસ મોબાઈલથી દૂર રહે તેવું સૂચન
ડોકટરોને અવેરનેસ માટે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવાનું કહેવાશે
નાની વયમાં જ થતા મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને લીધે અભ્યાસ ઉપર વિપરીત અસર પડી રહી છે તે બધા લોકો સ્વીકારે છે. પ્રાયમરી સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ સ્કુલે પણ મોબાઈલ લઈને આવી રહ્યા છે તો બીજી બાજુ કેટલાંક શિક્ષકો પણ ભણાવવાને બદલે પોતાના મોબાઈલમાં વધુ વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદ થતી રહે છે. આ બાબતને ગંભીર ગણીને હવે રાજ્ય સરકાર એક ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. આ ગાઈડલાઈન જો અસરકારક રીતે અમલી બનશે તો સ્કુલમાં વિદ્યાર્થીઓ તો ઠીક શિક્ષકો પણ મોબાઈલ લઈને નહી આવી શકે.

તાજેતરમાં સુરતમાં 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા હતા. ઉપરાંત જે લોકોએ મોબાઇલને લઇ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સાંભળી તેઓ પણ દંગ રહી ગયા હતા. આ ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. આ ઘટના અંગે શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પરિસ્થિતિઓ અટકાવવા વાલીઓને ડિજિટલ ડિવાઇસના સદુપયોગ માટે જાગૃતિ લાવવી પડશે. આ માટે ન માત્ર શાળાઓમાં પરંતુ સામાજિક સ્તરે પણ મૂલ્યવર્ધક અભિગમ અપનાવો જોઈએ. હાલ જે પણ શાળામાં મોબાઈલ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેવી રાજ્યની તમામ શાળાને અભિનંદન પાઠવું છું.
આ દિશામાં આગળ વધતાં ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં મોબાઇલના ઉપયોગને લઈ પ્રતિબંધ તથા નિયંત્રણો અંગે માર્ગદર્શિકા તૈયાર કરી છે. થોડા દિવસમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. શિક્ષણ વિભાગે તૈયાર કરેલી બાળકો માટે મોબાઇલ અને સોશિયલ મીડિયા ઉપયોગ અંગેની માર્ગદર્શિકામાં શિક્ષકો તેમજ વાલીઓનો પોતાના ઘરમાં, સ્કૂલોમાં સપ્તાહમાં એક વખત મોબાઈલ ઉપવાસ રાખવા અનુરોધ કરતી જોગવાઈ કરવામાં આવી છે.
આમ તો રાજ્યમાં શાળા કોલેજોમાં 2010થી મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે પરંતુ બદલાયેલી ટેકનોલોજી અને સ્માર્ટ ક્લાસ પદ્ધતિના કારણે ફરીથી તેનો વપરાશ વધ્યો છે. આ સંજોગોમાં બાળકો મોબાઈલ ફોન ફોબિયાથી પીડાઈ રહ્યા છે. જેની અસર તેમની શારીરિક અને માનસિક સ્થિતિને થાય છે. તેથી શિક્ષણ વિભાગે શાળામાં શિક્ષકો, આચાર્ય, વિદ્યાર્થીની સામે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવાની લઈને સોશિયલ મીડિયા પ્રત્યે આકર્ષણ વધે તે પ્રકારની પ્રવૃત્તિઓ નહીં કરવા માર્ગદર્શિકામાં સૂચન છે.
બાળકોમાં જાગૃતતા આવે એટલે શિક્ષકો અને વાલીઓને સપ્તાહમાં એક દિવસ મોબાઈલથી દૂર રહેવા મોબાઈલ ઉપવાસથી લઈ ડૉક્ટરો દ્વારા વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો ત્રણેયને મોબાઇલ એડીકશન દૂર રાખવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવાનું પણ સૂચન છે.આ પ્રકારની ગાઈડલાઈનની ટૂંક સમયમાં જાહેરાત થશે તેવું સુત્રોએ જણાવ્યું છે.