ઝડપની મજા, મોતની સજા : ડેન્જર રાજકોટમાં દિલ્હી, મુંબઈ, કલકત્તાથી વધુ અકસ્માત, ગતિ નિયંત્રણ અત્યંત જરૂરી
અમદાવાદ, મુંબઈ, દિલ્હી કે અન્ય શહેરોમાંથી રાજકોટની મહેમાનગતિ માણવા આવતા મેહમાનો રાજકોટનો ટ્રાફિક અને વાહન ચાલકોની આડેધડ બેફામપણે વાહન ચલાવવાની ક્ષમતા જોઈ આશ્ચર્યચકિત થવાની સાથે જ રાજકોટમાં વાહન ચલાવવું અમારું કામ નહીં શબ્દો અચૂક બોલે છે ત્યારે બુધવારની ગોઝારી સવારે શહેરના ઈન્દીરા સર્કલ ચોકમાં બેકાબુ સીટી બસ ચાલકે ચાર-ચાર નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લીધા બાદ રાજકોટના ટ્રાફિક અને લોકોની ટ્રાફિક સેન્સ તેમજ રાજકોટની ઉપર ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે. આ બધા વચ્ચે જાણીને આશ્ચર્ય થશે કે, દેશના દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા મેટ્રો સીટી કરતા પણ વધુ અકસ્માત રાજકોટમાં થાય છે અને રોડ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં હોવાનું દિલ્હી આઇઆઇટીના 2023ના સર્વેમાં સામે આવ્યું છે.
ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઇન્જરી પ્રિવેન્શન સેન્ટર, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હી દ્વારા ‘રોડ સેફ્ટી ઇન ઇન્ડિયા સ્ટેટસ રિપોર્ટ-2023’ મુજબ, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, ગ્રેટર મુંબઈ અને કોલકાતા જેવા ઘણા મોટા શહેરોની તુલનામાં રાજકોટ શહેરમાં પ્રતિ લાખ વસ્તીએ માર્ગ અકસ્માત મૃત્યુ દર વધુ છે. દિલ્હીની વસ્તી ઓછી હોવા છતાં – દસમા ભાગ અને અમદાવાદના એક ચતુર્થાંશ છે. જયારે રાજકોટનો મૃત્યુ દર પ્રતિ લાખ 9.7 છે, જે ગુજરાતના અન્ય શહેરો જેમ કે વડોદરા (7.4), અમદાવાદ (5.5) અને સુરત (5.5) ને પણ પાછળ છોડી દે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના 2019 અને 2021ના ડેટા મુજબ તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં દસ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા 53 શહેરોના અકસ્માતના આંકડા ધ્યાને લઈ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કુલ 53 શહેરોમાં 13,384મૃત્યુ થયા હતા, જે શહેરી વિસ્તારોમાં માર્ગ મૃત્યુના 29% હતા. દિલ્હીમાં પ્રતિ લાખ વસ્તીએ માર્ગ અકસ્માત મૃત્યુ દર 6.9, હૈદરાબાદ 3.4, ગ્રેટર મુંબઈ 2.4 અને કોલકાતા 1.6 છે. રિપોર્ટ મુજબ, સૌથી વધુ મૃત્યુ દર ધરાવતા પાંચ શહેરોમાં આસનસોલ (22.9), લુધિયાણા (21.4), વિજયવાડા (20.7), અલ્હાબાદ (19.8) અને જયપુર (19.1)નો સમાવેશ થાય છે, જ્યાં સરેરાશ મૃત્યુ દર પ્રતિ લાખ વસ્તીએ 21 છે.
ટ્રાફિક શિક્ષણ અંગેનો ગ્રેજ્યુએશન કોર્સ ફાઇલમાં અટવાયો
માર્ગ અકસ્માત માટે અનેક પરિબળો કામ કરતા હોય છે ખાસ કરીને ટ્રાફિક સેન્સનો અભાવ, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરવી સહિતના અનેક પરિબળો વચ્ચે રાજકોટમાં ભાવિ પેઢીમાં ટ્રાફિક સેન્સ આવે અને ટ્રાફિક અંગે ખાસ શિક્ષણ મળી રહે તે માટે રાજકોટ પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે ટ્રાફિક શિક્ષણને ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં સામેલ કરી શકાય તે માટે એમઓયુ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી આ પ્રકારનું શિક્ષણ શરૂ થયું નથી.
ઝડપની મજા, મોતની સજા…
આઈઆઈટી દિલ્હીના આ સર્વે રિપોર્ટ મુજબ પ્રતિ કલાક 50 કિમીની ઝડપે દોડતા વાહનથી રાહદારીઓનું મૃત્યુ જોખમ 80% થી વધુ હોય છે. મોટા શહેરોમાં ટ્રાડિક જામને કારણે વાહનોની ઓછી ગતિ હોવાથી મૃત્યુદર ઓછો હોવાનું પણ નોંધવામાં આવ્યું છે. સામાન્યત 30 કિમી પ્રતિ કલાકની ઝડપે રાહદારીઓના મૃત્યુની સંભાવના 10% થી ઓછી હોય છે. જો કે, રાજકોટમાં વર્તમાન સ્થિતિ જોવામાં આવે તો બેકાબુ વાહન ચાલકો પોલીસ કે સીસીટીવી કેમેરાનો દર રાખ્યા વગર પ્રતિ કલાક 50 કિલોમીટરની ઝડપે નહીં અહીં તો શહેરમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વાહન હંકારનાર પણ જોવા મળી રહ્યા છે.
વાહનોની સંખ્યામાં વધારો પણ અકસ્માત માટે કારણભૂત
માનવ વસ્તીની જેમજ વાહનોની વસ્તીમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો દર વર્ષે લાખોની સંખ્યામાં વાહનો વધી રહ્યા છે જેની સામે રસ્તાઓની પહોળાઈ વધતી નથી તે સ્વાભાવિક છે, વસ્તી ગણતરીના આંકડા મુજબ વર્ષ 2008 થી 2027ના એક દાયકામાં દેશમાં કાર ધરાવતા પરિવારો તેમજ મોટરસાઈકલ ધરાવતા પરિવારોની ટકાવારી બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દર વર્ષે લગભગ દોઢ મિલિયન કાર અને 1 કરોડ મોટરસાઈકલ નોંધાયા હતા. દર વર્ષે કાર ધરાવતા 0.6 ટકા નવા પરિવારો અને 4 ટકા મોટરસાઇકલ ધરાવતા પરિવારો વધી રહ્યા છે.
IIT દિલ્હીની ભલામણ RMCએ અભેરાઇએ ચડાવી
દેશમાં કેન્સર અને હાર્ટ એટેક કરતા પણ રોડ અકસ્માતથી વધુ મૃત્યુ થતા હોવાની બાબત ચિંતાજનક છે છતાં પણ રોડ અકસ્માતનું પ્રમાણ ઓછું કરવા માટે પગલાં લેવામાં આવતા નથી તે નક્કર હકીકત છે. રાજકોટ સહીત દેશના 53 શહેરનો અભ્યાસ બાદ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસરોએ સર્વે અંગે વિસ્તૃત અહેવાલ સુપરત કરી આ ગંભીર બાબતે રાજકોટ મહાનગર પાલિકા અને પોલીસને પણ સર્વેના તારણો અને ભલામણો કરી છે પરંતુ આ સર્વેની ભલામણો અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવી હોય છાસવારે સીટી બસ અકસ્માત જેવા પરિણામ મળતા રહે છે.