હોળીના પર્વ નિમિતે દ્વારકા જગત મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, આ ઉત્સવમાં સહભાગી થવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટશે. ફૂલડોલ ઉત્સવને લઈ જગત મંદિરનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ફૂલડોલ ઉત્સવ પર જગત મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર
હોળી અને ધૂળેટી પર્વની ઉજવણીનું દ્વારકાના જગત મંદિરમાં ખૂબ મહત્ત્વ છે, ત્યારે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને જગતમંદિરમાં ભગવાનના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે એટલે કે 14 માર્ચ, 2025ના રોજ સવારના 6:00 વાગ્યે શ્રીજીની મંગળા આરતી થશે. આ પછી બપોરના 1:00 વાગ્યે મંદિર બંધ થયા બાદ ફૂલડોલ ઉત્સવ શરૂ થશે. જેમાં 1:30 વાગ્યે આ ઉત્સવની આરતી કરવામાં આવશે, જેના 2:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. આ પછી 2:30 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. જો કે, આ પછી સાંજે નિત્યક્રમ પ્રમાણે ભગવાનના દર્શન અને આરતી કરવામાં આવશે.
હોળી-ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગતમંદિરમાં આયોજિત ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે સેવાભાવિકો દ્વારા કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ભક્તિ, સેવા, સુરક્ષાનો અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે. તેવામાં અકસ્માતની ઘટના ન સર્જાય અને લોકો સલામત રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આરટીઓ દ્વારા રિફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
એકસ્ટ્રા બસો દોડાવાશે
દ્વારકામાં હોળી પર ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જેને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનાં જામનગર ડિવિઝન દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. જેને પગલે 11 માર્ચથી 15 માર્ચ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૂટો પર 11મી તારીખથી બુકિંગ કરી શકાશે અને આ માટે 5 ડેપોની બસો દોડાવવામાં આવશે.