“સોમનાથ માત્ર મંદિર નથી, ભારતનું સ્વાભિમાન છે ” ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ,પીએમ મોદીનો બ્લોગ
સોમનાથ…આ શબ્દ સાંભળતા જ આપણા મન અને હ્રદયમાં ગૌરવ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે.
ભારતના ઇતિહાસમાં સોમનાથ સમગ્ર ભારતના સ્વાભિમાન, એકતા, ભવ્યતા અને ચેતનત્વનું પ્રતિક છે. અનેક વિદેશ લૂંટારૂ સમા આક્રમણખોરોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો, તેનો હેતુ સોમનાથ મંદીર પર ઘાવ કરીને ભારતની સનાતન આસ્થા પર ઘાવ કરવાનો હતો. પરંતુ આવા લૂંટારુઓના આક્રમણો ક્યારેય સનાતન આસ્થાને તોડી શક્યા નહિ, સોમનાથ દરવખતે વધુને વધુ ભવ્યતા સાથે ઊભું થયું. સોમનાથ પર પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. અને આજે સોમનાથ દિવ્ય અને તેજોમય બનીને ભારતની આધ્યાત્મિકતા અને આસ્થાના ધર્મધ્વજને આકાશમાં ફરકાવી રહ્યું છે.
સોમનાથ ભારતની આત્મા અને ગૌરવનું પ્રતીક
પીએમ મોદીએ તેમના બ્લોગમાં લખ્યું કે, “સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતની આત્મા અને ગૌરવનું પ્રતીક છે. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાને બિરાજતા સોમનાથ વિશે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે તેના દર્શન માત્રથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થઈ પુણ્ય પ્રાપ્ત કરે છે. વડાપ્રધાને નોંધ્યું છે કે પ્રભાસ પાટણની આ પવિત્ર ધરતી સદીઓથી ભારતની આધ્યાત્મિક અને સભ્યતાગત ભવ્યતાની સાક્ષી રહી છે.
ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ
વર્ષ 2026 એ સોમનાથના ઇતિહાસમાં ખૂબ મહત્વનું છે કારણ કે જાન્યુઆરી 1026માં મહમદ ગઝનવી દ્વારા કરવામાં આવેલા પ્રથમ બર્બર આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે આક્રમણ ભારતની આસ્થા અને સભ્યતાને નષ્ટ કરવાનો એક હિંસક પ્રયાસ હતો. જોકે, પીએમ મોદી જણાવે છે કે સોમનાથની ગાથા વિધ્વંસની નહીં, પરંતુ ભારત માતાના સંતાનોના અતૂટ સ્વાભિમાન અને આસ્થાની ગાથા છે.
આ પણ વાંચો :અમદાવાદ રોડથી મોરબી રોડ સુધીના રસ્તાને ફોર-લેન બનાવવામાં આવશે : ‘રૂડા’ની બોર્ડ બેઠકમાં 98.45 કરોડ મંજૂર
મહંમદ ગઝનવી તો લૂંટીને ચાલ્યો ગયો હતો પરંતુ સોમનાથ પ્રત્યેની આપણી ભાવનાને આપણી પાસેથી છીનવી નથી શક્યો..આપણો વિશ્વાસ વધુ પ્રબળ થયો.વર્ષ 1026ના હજાર વર્ષ પછી આજે 2026માં પણ સોમનાથ મંદિર વિશ્વને સંદેશો આપે છે કે, ખતમ કરવાની માનસિકતા ધરાવતા લોકો જ ખતમ થઇ જાય છે. જયારે સોમનાથ મંદિર આજે આપણા વિશ્વાસનો મજબુત આધાર બનીને ઉભું છે.
આ વર્ષે જ પુનનિર્માણના 75 વર્ષ પૂર્ણ
યોગાનુયોગ વર્ષ 2026 એ સોમનાથ મંદિરના આધુનિક પુનનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાનું પણ વર્ષ છે. 11 મે 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં આ ભવ્ય મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખુલ્યા હતા. ગઝનવીથી લઈને અનેક આક્રમણકારોએ આ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે આપણી સંસ્કૃતિના રક્ષકોએ સર્વોચ્ચ બલિદાન આપીને મંદિરને ફરીથી બેઠું કર્યું છે.
વિવેકાનંદ, અહલ્યાબાઈ હોલકર,ક. મા. મુનશી, સરદારને કર્યા યાદ
વડાપ્રધાને અહલ્યાબાઈ હોલકર, સ્વામી વિવેકાનંદ અને કનૈયાલાલ મુનશી જેવા મહાનુભાવોના યોગદાનને યાદ કર્યું છે. સ્વામી વિવેકાનંદે સોમનાથને રાષ્ટ્રીય જીવનધારાનું પ્રતીક ગણાવ્યું હતું. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે મક્કમ નિર્ધાર સાથે આ મંદિરના પુનનિર્માણની જવાબદારી ઉપાડી હતી. પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે તત્કાલીન પીએમ નહેરૂ આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિની હાજરીથી નારાજ હતા, છતાં રાજેન્દ્ર બાબુ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.
કટ્ટરતા પાસે વિનાશની શક્તિ,આસ્થામાં સર્જનની
“નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ” ના શ્લોકને ટાંકીને પીએમએ જણાવ્યું કે સોમનાથનું ભૌતિક માળખું ભલે નાશ પામ્યું હોય, પરંતુ તેની ચેતના અમર રહી છે. આ જ અતૂટ વિશ્વાસને કારણે આજે ભારત પર વિશ્વની નજર છે. યોગ, આયુર્વેદ અને આપણી સંસ્કૃતિ આજે વૈશ્વિક પડકારોના ઉકેલ તરીકે ઉભરી રહ્યા છે. સોમનાથ આપણને શીખવે છે કે કટ્ટરતા પાસે વિનાશની શક્તિ હોઈ શકે છે, પણ આસ્થામાં સર્જનની અપાર શક્તિ છે.
પીએમ મોદીએ બ્લોગના અંતે આહવાન કર્યું છે કે જો 1000 વર્ષ પહેલા ખંડિત થયેલું સોમનાથ આજે પોતાના પૂર્ણ વૈભવ સાથે ફરી ઊભું રહી શકતું હોય, તો આપણે પણ 1000 વર્ષ પહેલાનું સમૃદ્ધ ભારત પુન બનાવી શકીએ છીએ. સોમનાથની લહેરો અને ગર્જના આપણને વિકસિત ભારતના નિર્માણ માટે નવા સંકલ્પ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.
