રાજકોટના ભગવતીપરામાં નવ કલાક બંધ પડેલા ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 18.95 લાખની કરી ચોરી
રાજકોટના ભગવતીપરા શેરી નં.15માં પ્રજાપતિની વાડીની બાજુમાં રહેતાં અને લાકડાનો વેપાર કરતાં વેપારીના નવ કલાક માટે બંધ પડેલા મકાનમાં તસ્કરોએ ત્રાટકી 18.95 લાખની ચોરીને અંજામ આપતાં બી-ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની પોલીસ દોડતી થઈ જવા પામી હતી.

આ અંગે મકાનમાલિક નીલાબેન મુકેશભાઈ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું કે તેમના નવા થોરાળામાં રહેતા ભાઈના ઘેર માતાજીની બેઠક હોવાથી તેઓ પુત્રી સાથે ગુરૂવારે રાત્રે નવ વાગ્યે મકાનને તાળું મારીને ગયા હતા. જ્યારે ભગવતીપરા શેરી નં.5ના ખૂણે ગણેશ જલાઉ લાકડા વેચવાના ડેલાનું સંચાલન કરતો પુત્ર દર્શન કાર લઈને સુરેન્દ્રનગર ગયો હતો અને ત્યાંથી સીધો ભાઈના ઘેર આવ્યો હતો. દરમિયાન ગુરૂવારે રાત્રે તેઓ ભાઈના ઘેર જ રોકાઈ ગયા બાદ શુક્રવારે સવારે છ વાગ્યે પોતાના ઘેર આવ્યા હતા.

ઘરની ડેલી તેમજ મુખ્ય દરવાજાનું તાળું ખોલી ઘરના બેડરૂમમાં જતાં જ નવેરાની બાજુમાં આવેલો બારીનો કાચ તૂટેલો જોયો હતો. નવેરાનો દરવાજો પણ ખુલ્લો હતો જેથી બેડરૂમના કબાટમાં ચેક કરતાં 9.60 લાખની રોકડ તેમજ 8.95 લાખના સોના-ચાંદીના ઘરેણા મળી કુલ 18,95,400ની મત્તા ગાયબ જોવા મળી હતી. તસ્કરોએ નવેરામાં લોખંડની ગ્રીલ પણ તોડી નાખી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

ચોરીની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને આસપાસ રહેલા કેમેરાની તપાસ કરતાં તેમાં બેથી ત્રણ તસ્કરો ચોરી કરવા માટે આવી રહેલા જોવા મળ્યા હતા અને ચોરી કર્યા બાદ રિક્ષામાં બેસી ફરાર થઈ ગયા હોય તેમને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમે તપાસ હાથ ધરી હતી. એકંદરે તસ્કરો પોલીસના હાથવેંતમાં જ હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટના સર્વેશ્વર ચોકનું કામ હજુ એક મહિનો ચાલશેઃ વરસાદ ન પડે તો ! ઝડપથી કામ પૂરું કરવા મ્યુ.કમિશનરનો આદેશ

પતિનું કિડનીની બીમારીને કારણે નિધન થતાં પુત્રએ વેપાર સંભાળ્યો
ફરિયાદી નીલાબેન ચૌહાણે જણાવ્યું કે તેમના પતિ મુકેશભાઈ ચૌહાણનું 2019માં કિડનીની બીમારીને કારણે નિધન થતાં લાકડા વેચવાના ડેલાનું સંચાલન પુત્ર ગણેશે સંભાળ્યું હતું. ઘરમાંથી જે રોકડની ચોરી થઈ છે તે વેપારની હોવાનું તેમણે જણાવ્યું હતું.