સિંગર જિગરદાન ગઢવીએ ગુજરાતી પ્લેબેક સિંગિંગને કહ્યું-અલવિદા…જિગરાએ 10 વર્ષની યાદગાર સફર બાદ નિવૃત્તિ કરી જાહેર
હજુ થોડા સમય પહેલા જ અરિજિત સિંહે પ્લેબેક સિંગિગમાંથી નિવૃતિ જાહેર કરી હતી ત્યારે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોતાના ગીતોથી તમામ ગુજ્જુને ડોલાવનાર એવા જીગરદાન ગઢવીએ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃતિ જાહેર કરતાં ફેન્સ ચોંકી ઉઠયા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીતપ્રેમીઓ માટે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ગુજરાતી ગાયક જિગરદાન ગઢવી ઉર્ફે જીગરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાહેર કર્યું છે કે હવે તેઓ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ અને મ્યુઝિક પ્રોજેક્ટ્સમાંથી નિવૃતિ લઈ રહ્યો છું.
પ્લેબેક સિંગિંગને કહ્યું-રામ-રામ
રામ નવમીના શુભ પ્રસંગે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક સંદેશ શેર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે હવે પછી તેઓ ગુજરાતી ફિલ્મો માટેનું પ્લેબેક ગાયન તેમજ ગુજરાતી લેબલ્સ અને યુટ્યુબ ચેનલ્સ સાથેના મ્યુઝિક પ્રોજેક્ટ્સમાં જોડાશે નહીં.
છેલ્લા 10 વર્ષના સફરને ખાસ ગણાવ્યો
પોતાની પોસ્ટમાં જીગરાએ છેલ્લા 10 વર્ષના સફરને ખાસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેમને ચાહકો તરફથી ઘણો પ્રેમ અને સહયોગ મળ્યો છે, જેના માટે તેઓ દિલથી આભારી છે.
આ અચાનક નિર્ણયથી તેમના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના કલાકારોમાં ચોંકી ગયા છે. જાણીતા કલાકારો આદિત્ય ગઢવી, મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ અમિત ભાવસારએ પણ તેમની પોસ્ટ પર પ્રતિભાવ આપ્યો છે. ઘણા ચાહકો આ નિર્ણયથી નિરાશા વ્યક્ત કરી રહ્યા છે અને તેના પાછળનું કારણ જાણવા માંગે છે.
આ પણ વાંચો:2029ની લોકસભાની ચૂંટણી પહેલા બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્શો: રાજકોટમાં લોકસભાની બે સીટ થશે
નિવૃત્તિ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી
જોકે નિવૃત્તિ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ થોડા દિવસ પહેલાની તેમની પોસ્ટ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ હવે બોલિવૂડ અને અન્ય ભાષાઓમાં આગળ વધવા ઈચ્છે છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે હિન્દી ફિલ્મોમાં ગાવા અને સંગીત આપવા માટે તેમને અનેક તકો મળી હતી, પરંતુ લાંબા ગાળાના કરારો અને સર્જનાત્મક સ્વતંત્રતાના અભાવને કારણે તેમણે તે સ્વીકાર્યા નહોતા.
7મા ધોરણથી ગીતો લખવાનું શરૂ કર્યું
તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ હંમેશા પોતાની કલાને સ્વતંત્ર રીતે વ્યક્ત કરવા માંગે છે. બાળપણથી જ સંગીત સાથે જોડાયેલા જીગરાએ 7મા ધોરણથી ગીતો લખવાનું શરૂ કર્યું હતું અને આજે સુધીમાં 3000થી વધુ ગીતો રચી ચૂક્યા છે. તેમના માટે સંગીત માત્ર વ્યવસાય નહીં પરંતુ જીવનનો અભિન્ન ભાગ છે.
જીગરાના લોકપ્રિય ગીતો
જિગરદાન ગઢવીના અનેક ગીતો ખૂબ જ લોકપ્રિય થયા છે અને ચાર્ટબસ્ટર સાબિત થયા છે. તેમાંના કેટલાક જાણીતા ગીતો નીચે મુજબ છે:
- વ્હાલમ આવો ને – ફિલ્મ લવ ની ભવાઈનું આ ગીત તેમની કારકિર્દીનું સૌથી સુપરહિટ ગીત માનવામાં આવે છે.
- ચાંદ ને કહો – ફિલ્મ ચાલ જીવી લઈએનું આ રોમેન્ટિક ગીત આજે પણ શ્રોતાઓમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
- મોગલ તારો આશરો – ભક્તિ સંગીતમાં આ ગીતે યુટ્યુબ પર લાખો નહીં પરંતુ મિલિયન્સમાં વ્યૂઝ મેળવ્યા છે.
- મને કહી દે – ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝનું આ ગીત તેમની મીઠી અવાજમાં ખૂબ જ સરસ રીતે રજૂ થયું છે.
જાણીતા આલ્બમ્સ અને પ્રોજેક્ટ્સ
જીગરા માત્ર ફિલ્મી ગીતો સુધી મર્યાદિત રહ્યા નથી, પરંતુ તેમણે ઘણા સફળ સિંગલ્સ અને આલ્બમ્સ પણ આપ્યા છે:
- ગોકુળ ની રમઝટ – ગરબા પ્રેમીઓ માટે આ આલ્બમ ખૂબ લોકપ્રિય રહ્યો છે.
- વૃંદાવન – કૃષ્ણ ભક્તિ અને ગરબાનું સુંદર સંયોજન ધરાવતો આ પ્રોજેક્ટ ખાસ પસંદ થયો હતો.
- હૂં તારી હીર – આ આલ્બમ પણ સંગીતપ્રેમીઓમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો.
એવોર્ડ્સ અને સિદ્ધિઓ
તેમની પ્રતિભા માટે તેમને અનેક પુરસ્કારો અને સન્માન મળ્યા છે:
- GIFA એવોર્ડ – “વ્હાલમ આવો ને” ગીત માટે તેમને બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો.
- ટ્રાન્સમીડિયા એવોર્ડ – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉત્તમ યોગદાન બદલ તેમને આ સન્માન મળ્યું હતું.
- ઓસ્કર શોર્ટલિસ્ટ – ફિલ્મ કામસૂત્ર 3D માટે ગાયેલા તેમના ગીતો 2014માં ઓસ્કર માટે શોર્ટલિસ્ટ થયા હતા.
- ઈ-ટીવી લોક ગાયક ગુજરાત – માત્ર 18 વર્ષની ઉંમરે તેઓ આ લોકપ્રિય શોના વિજેતા બન્યા હતા.
આ રીતે, જીગરાએ પોતાના અવાજ અને પ્રતિભા દ્વારા ગુજરાતી સંગીત જગતમાં અનોખું સ્થાન બનાવ્યું છે.
