શ્રેયસ અય્યર સિડનીની હોસ્પિટલમાં ICUમાં દાખલ : ત્રીજી ODI દરમિયાન કેચ પકડતાં થયો’તો ઇન્જર્ડ, પાંસળીમાં ઇજા
ભારતીય વનડે ટીમના ઉપ-કપ્તાન શ્રેયસ ઐયરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સિડનીની એક હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તે ICUમાં છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયસ ઘાયલ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસને આંતરિક રક્તસ્રાવ થઈ રહ્યો છે. શ્રેયસને ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી જેના કારણે તેને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી મેદાનની બહાર રહેવું પડી શકે છે, પરંતુ હવે એવું લાગે છે કે તેના મેદાનમાં પાછા ફરવામાં વિલંબ થઈ શકે છે. વાસ્તવમાં, સિડનીમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે ઐયર ઘાયલ થયો હતો.
શ્રેયસ ઐયરને સિડનીની હોસ્પિટલમાં દાખલ
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન પાંસળીમાં ઈજા થતાં ભારતના ODI ઉપ-કપ્તાન શ્રેયસ ઐયરને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરીક્ષણોમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવ્યું હોવાથી તે હાલમાં ICUમાં છે. તેની સ્થિતિ હવે સ્થિર છે. 31 વર્ષીય ખેલાડી ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સિડની હોસ્પિટલમાં રહેશે અને પછી ભારત પાછા ફરવા માટે ફિટ જાહેર થશે.
ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો
સિડની વનડે દરમિયાન, શ્રેયસ ઐયરે બેકવર્ડ પોઈન્ટથી દોડતી વખતે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો હતો. જોકે, તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને પડી ગયો, જેના કારણે તેની ડાબી પાંસળીમાં ગંભીર ઈજા થઈ. ફિલ્ડિંગ કર્યા પછી જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો, ત્યારે તેનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ વધી ગઈ, જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરોના રિપોર્ટમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવ્યું, જેના કારણે તેને તાત્કાલિક ICUમાં દાખલ કરવાની જરૂર પડી.
આ ઘટનાક્રમથી વાકેફ એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “તેમની રિકવરી પર આધાર રાખીને, તેમને બે થી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. રક્તસ્ત્રાવને કારણે ચેપ ફેલાતો અટકાવવા માટે આ જરૂરી છે. ટીમના ડોકટરો અને ફિઝિયોએ કોઈ જોખમ લીધું નહીં અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા. તેમની સ્થિતિ હવે સ્થિર છે, પરંતુ તે જીવલેણ બની શકે છે.”
મેદાનમાં પાછા ફરવામાં સમય લાગશે
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, “તે એક તેજસ્વી ખેલાડી છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. આંતરિક રક્તસ્ત્રાવ થયો હોવાથી, તેમને ચોક્કસપણે સ્વસ્થ થવા માટે વધુ સમયની જરૂર પડશે. આ સમયે, સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી મુશ્કેલ છે.”
શ્રેયસ ઐયર શરૂઆતમાં લગભગ ત્રણ અઠવાડિયા માટે ક્રિકેટથી બહાર રહેવાની અપેક્ષા હતી, પરંતુ હવે તેમનો રિકવરી સમયગાળો થોડો લાંબો હોઈ શકે છે. શ્રેયસ 29 ઓક્ટોબરથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી20 શ્રેણીનો ભાગ નથી. તે સ્વસ્થ થયા પછી ઘરે પરત ફરશે.
