‘ગેરકાયદે જંગલ સાફ’…રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીનો બીજો દિવસ: 300થી વધુ દબાણો દૂર કરવામાં આવશે
રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલિશન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1489 પૈકી 1119 મિલકતો તોડી પાડવામાં આવી છે અને બાકી રહેતી 300 પ્રોપર્ટીને પણ આજે (24 ફેબ્રુઆરી) બપોરે 3 વાગ્યા સુધીમાં તોડી પડાશે. સોમવારે સવારે 7:30 વાગ્યાથી શરૂ થયું હતું. ડિમોલિશન ‘ફાઈનલ’ થયાની જાહેરાત પછીથી લઈને સોમવાર સુધી માત્ર જંગલેશ્વર જ નહીં પરંતુ મહત્તમ રાજકોટના લોકોમાં “શું થશે?” તેવી ચિંતા અને ઉત્કંઠા જોવા મળી રહી હતી. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી અધિકારીઓએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી હતી, જેના કારણે ડિમોલિશનમાં કોઈ અડચણ આવી નહોતી અને ધારણા કરતાં પણ વહેલું ગેરકાયદે દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.

અજવાળું થતાં જ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ
જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. નદીના પટ્ટમાં પાકા મકાનો ત્રણથી ચાર માળના બનાવ્યા હોવાથી અને લોડ બેરિંગથી બનાવેલા હોવાથી જેસીબીથી મકાનો તૂટી સકતા નથી, તેને તોડવા માટે હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે. સોમવારે વહેલી સવારથી જ આજી નદીના પટ તથા ટાઉન પ્લાનિંગ રોડ ઉપર ખૂણે ખૂણે પોલીસ, એસ.એ.એફ. (Special Action Force), એસ.આર.પી. સહિત મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તેમજ મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત થઈ ગયા હતા.

અજવાળું થતાં જ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓની કડક દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
જંગલેશ્વરમાં બીજા અને અંતિમ દિવસના ડિમોલિશનનો ડ્રોન વીડિયો
જંગલેશ્વરમાં દબાણ હટાવવાનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આ કામગીરીના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે મોટા ભાગના મકાન તોડી પાડવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ રોડ તેમજ નદીના પટમાં એક રૂમની ઓરડીથી લઈને 3 થી 4 માળના બંગલાઓ સુધી, જેમાં 3 થી 5 રૂમ તથા વૈભવી સુવિધાઓ હતી, તે તમામ ઇમારતોને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. તંત્રને અંદાજ હતો કે આ ડિમોલિશન ગુરુવાર સુધી ચાલશે, પરંતુ સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં જ મોટાભાગની કાર્યવાહી પૂર્ણ થઈ જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
સવારે 7:30થી લઈને સાંજે 7 વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં બુલડોઝરની ગર્જના, સાયરનના અવાજ, મહિલા અને બાળકોના રોદન, બ્રેકરના ભયાનક અવાજ તથા તંત્ર દ્વારા માઇક મારફતે અપાતી ચેતવણીઓથી વાતાવરણ ગંભીર બની ગયું હતું. મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ ખાલી કરવા અપીલ કરવામાં આવી રહી હતી, જેના પરિણામે રવિવાર રાત સુધીમાં જ મોટા ભાગના લોકોએ પોતાના મકાન અને દુકાનો ખાલી કરી દીધી હતી, જેથી તંત્રને મુખ્યત્વે દબાણ દૂર કરવાની કાર્યવાહી જ કરવી પડી હતી.
