અમદાવાદમાં ઘુસણખોર બાંગ્લાદેશીઓને ભારતીય બનાવવાનું કૌભાંડ ઝડપાયું : અનેકને નાગરિકત્વ અપાવ્યાની સંભાવના
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની તથા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાના સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ચેકિંગ સાથે ઘુસણખોર બાંગ્લાદેશીઓને સ્થાનિકસ્તરે કોઈને કોઈ કૌભાંડીઓ દ્વારા ભારતીય નાગરિકત્વ અપાવી દેવાનું કારસ્તાન ચાલતું હોવાની હિલચાલ સાથે એટીએસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અમદાવાદમાં બાંગ્લાદેશી શખસે સ્થાનિક ઈસમ સાથે મળી ઘુસણખોર બાંગ્લાદેશીઓને બોગસ દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી ભારતીય નાગરિકત્વ અપાવી દેવાનું કૌભાંડ ચલાવતો હોવાનો પર્દાફાશ થયો છે. બન્નેની ધરપકડ કરી એટીએસએ 300થી વધુ બોગસ દસ્તાવેજો, નકલો કબજે લઈ બન્નેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
અમદાવાદના નારોલ વિસ્તારના કેનાલ રોડ પરના ૫૫ બાગે કૈસર ખાતે રહેતા રાણા સરકાર ઉર્ફે મોહંમદ દિદારૂલ આલમ નામનો બાંગ્લાદેશી શખસ તેના મકાનમાં વીઆઈપી મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે અને તેણે નકલી આઈ.ડી. પ્રુફના આધારે ભારતીય પાસપોર્ટ કઢાવેલ છે. રોબ્યુલ ઈસ્લામ સાથે મળીને તેણે રાજસ્થાનના વતની અમદાવાદમાં નારોલ વિસ્તારમાં ન્યુ ઈન્દિરાનગર-106માં રહેતા સોએબ મોહંમદ અબ્દુલ હમીદ ઉમરદીન કુરેશી સાથે મળીને કૌભાંડ આચર્યાની વિગતોના આધારે ડીવાયએસપી વિરજીતસિંહ પરમારની રાહબરી હેઠળ પીઆઈ વી.એન. વાઘેલા, બી.એન. ભરવાડ તથા સ્ટાફે દરોડો પાડીને રાણા સરકાર ઉર્ફે મોહંમદ તથા સોએબ મોહમદ કુરેશીને દબોચી લીધા હતા.
આરોપી રાણા સરકાર ઉર્ફે મોહંમદની વીઆઈપી મોબાઈલની દુકાનમાં એટીએસની ટીમોએ તપાસ કરતાં અંદરથી આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા જેમાં રાણા સરકાર ઉર્ફે મોહંમદનું આધાર કાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ ગવર્મેન્ટ ઓફ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડ તથા ભારત સરકારનું ઈ-શ્રમ કાર્ડ તથા બેન્ક ઓફ ઈન્ડિયાની પાસબૂક મળી આવી હતી. તેણે રોબ્યુલ ઈસ્લામ સાથે મળી 13 થી 14 બાંગ્લાદેશીના બોગસ આઈ.ડી. પ્રુફ સોએબ પાસે બનાવડાવ્યા હતા અને તેના આધારે પાસપોર્ટની ઓનલાઈન અરજીઓ
કરાવી પાસપોર્ટ પણ બનાવડાવી દીધા હતા. માહિતીના આધારે સોએબ કુરેશીની અલકુરેશ એન્ટરપ્રાઈઝ નામની દુકાન પર પણ એટીએસની ટીમે છાપો માર્યો હતો. હતો. દુકાનમાંથી નકલી આધાર કાર્ડ બનાવવાની ૨૨ નકલો, સર્ટિફિકેટ મળી આવ્યા હતા. તેનો કોમ્પ્યુટર તથા લેપટોપની ચકાસણી કરતાં આવી 300થી વધુ નકલો, જન્મના દાખલાની બનાવટી નકલો અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળી આવતા એટીએસના અધિકારીઓ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે રિબ્યુલ ઈસ્લામ અને રાણા સરકારે 17 બાંગ્લાદેશીના બોગસ ડોક્યુમેન્ટ આધારે પાસપોર્ટ કઢાવ્યા અને 9 બાંગ્લાદેશીઓની પાસપોર્ટની અરજીઓ કરી હોવાનું ખૂલ્યું છે.
ત્રણે શખસો સામે બીએનએસ કલમ 336 (2), 337, 338, 340 તથા પાસપોર્ટ એક્ટ કલમ 12 (1) (ખ) તથા 12 (2) તથા ધી ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 14 (એ) (બી) અને 14 (સી) હેઠળ ત્રિપુટી સામે ગુનો નોંધી બાંગ્લાદેશી મોહંમદ દિદારૂલ તથા સોએબ મહંમદની ધરપકડ કરી છે. જ્યારે રોબ્યુલ ઈસ્લામની શોધ હાથ ધરી છે.
પાંચ વર્ષ ગેરકાયદે રહ્યો, દસ્તાવેજો બનાવી અન્યોનો બન્યો એજન્ટ
એટીએસના હાથે ઝડપાયેલો બાંગ્લાદેશી મોહંમદ દિદારૂલ બાંગ્લાદેશના કિશોરગંજ જિલ્લાના ઉત્તર ગોવિંદપુરનો વતની છે. ૨૦૧૨ની સાલમાં ખેતર માર્ગે ગેરકાયદે બોર્ડર ક્રોસ ભારતના દિનહાટીમાં ઘૂસ્યો હતો. ત્યાંથી ત્રણ વર્ષ શિલીગુડા, હાવડા, તમિલનાડુ, બેંગ્લોર, મુંબઈમાં રહ્યો અને 2015માં અમદાવાદ પહોંચ્યો હતો. અહીં પણ 2017 સુધી ગેરકાયદે જ રહ્યો હતો. ૨૦૧૭માં પાસપોર્ટ બનાવ્યો અને એક વર્ષ બાદ 2018માં પોતે જ દુકાન ભાડે રાખી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવવાના નામે એજન્ટ બની ગયો હતો. સાગરીત રોબ્યુલ ઈસ્લામ સાથે મળીને ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને શોધતા હતા અને જેવો મુરગો એવા ભાવ પડાવી બોગસ દસ્તાવેજી પુરાવાઓ બનાવતા હતા.
10 વર્ષથી દુકાન ચલાવતા રાજસ્થાની શખસે અનેક દસ્તાવેજો બનાવ્યાની શંકા
કૌભાંડમાં રાજસ્થાનના નવલગઢનો વતની સોએબ મોહંમદ કુરેશી સુત્રધાર હોવાની શંકા છે. સોએબ ૨૦૧૫થી આધાર કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ માટે ઓનલાઈન અરજીઓના નામે અલ કુરૈશ એન્ટરપ્રાઈઝ નામે દુકાન ચલાવતો હતો. દુકાનમાંથી જ બોગસ દસ્તાવેજી સાહિત્ય 300થી વધુ નકલો મળી છે. જેના પરથી આરોપી સોએબ દ્વારા ઓનલાઈન અરજીઓના નામે દુકાનમાં જ બોગસ દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી કરાવી દઈને બાંગ્લાદેશીઓને ભારતનું નાગરિકત્વ અપાવવાનું કારસ્તાન લાંબા સમયથી ચાલતું હોવાની આશંકા બની શકે. કબજે લેવાયેલા કોમ્પ્યુટર, લેપટોપનો અભ્યાસ કરાઈ રહ્યો છે. એફએસએલમાં મોકલીને પણ વધુ ડેટા એકત્રિત કરાશે અને કૌભાંડ મોટું ખૂલે તેવી સંભાવના છે.