સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ 31 ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ ભવ્ય ઉજવણીના સમગ્ર કાર્ય આયોજન અંગેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે. એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે.આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે.
વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો
એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે.કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ અવસરે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની પ્રતિમાની પદ પૂજા કર્યા પછી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવશે ત્યારે તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસની કંટીજન્ટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે અને સમગ્ર કાર્યક્રમનો શાનદાર પ્રારંભ થશે.
ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અન્વયે ફ્લાય પાસ્ટ તથા CRPF અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાયફલ ડ્રીલ ,NSG દ્વારા હેલ માર્ચ, આસામ પોલીસ દ્વારા મોટરસાયકલ ડેરડેવિલ શો તેમજ BSFના ઇન્ડિયન બ્રીડનો ડોગ શો, CISF અને ITBPની મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ, SSB દ્વારા બેન્ડ ડિસ્પ્લે અને NCC કેડેટસ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.
રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત 10 ટેબ્લોઝ પ્રસ્તુત થશે
તેમણે ઉમેર્યું કે, વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને 11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સરદાર સાહેબના જીવન કવનને ઉજાગર કરતી નાટ્ય પ્રસ્તુતિ ‘લોહપુરુષ’ પણ આ પ્રસંગે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે રજૂ કરવામાં આવશે.
આ વર્ષે પ્રકાશ પર્વ દિવાળી, નૂતન વર્ષ અને સરદાર સાહેબની જન્મજયંતિ ઉજવણીની ત્રિવેણીરૂપે રાજ્ય સરકાર દ્વારા 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન એકતાનગર ખાતે પ્રકાશ પર્વ અન્વયે દરરોજ સાંજે 7થી 11 વાગ્યા સુધી સૌંદર્યમય લાઇટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકાશે.
ભારત પર્વ-2025 અંતર્ગત 1 થી 15 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે દેશના જુદાજુદા રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, પરંપરાગત કલા-સંસ્કૃતિને ઉજાગર કરશે.આ સાથે જ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરંપરાગત ખાનપાન વ્યંજનો પીરસતા 45 ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું પણ આયોજન છે.
આટલાં રાજ્યોના ટેબ્લો હશે
આ પરેડમાં ‘એકત્વ’ થીમ આધારિત વિવિધ ટેબ્લોઝનું જે નિદર્શન થવાનું છે તેમાં જુદા જુદા રાજ્યો અને CAPF દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા 10 ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે. NDRF, NSG, જમ્મુ કાશ્મીર, આંદામાન એન્ડ નિકોબાર, પુડ્ડુચેરી, મહારાષ્ટ્ર, ગુજરાત, મણીપુર, છત્તીસગઢ અને ઉત્તરાખંડ દ્વારા આ ટેબ્લોઝ રજૂ થવાના છે.
