સલામ છે ક્રિષ્નાને…વાંકાનેરની 14 વર્ષની કેન્સરગ્રસ્ત દીકરીએ મોતને ભેટતાં પૂર્વે કર્યું આ મહાન કાર્ય, વાંચીને તમારી આંખો પણ ભીની થઈ જશે
શિવ નાડર,મુકેશ અંબાણી,ગૌતમ અદાણી અને બજાજ પરિવાર સહિત દેશની ધનિક વ્યક્તિઓએ કરોડોનું દાન કર્યું છે,પણ વાંકાનેરની શ્રમિક પરિવારની કેન્સરગ્રસ્ત દીકરી ક્રિષ્નાએ કરેલું 1000 રૂ.નું દાન સમાજ માટે મિશાલ બન્યું છે,14 વર્ષની દીકરી ભલે કરોડપતિ જેવી સંપત્તિ ધરાવતી ન હતી પણ તેના હૃદયની સમૃદ્ધિથી મૃત્યુને ભેટતાં પહેલાં એવું કામ કરીને ગઈ કે,અનેકની આંખોમાં આંસુ આવી ગયા છે .

14 વર્ષની ક્રિષ્ના…અભ્યાસમાં તેજસ્વી,ભણીને સફળ કેરિયર બનાવી પરિવારને ગરીબીમાંથી બહાર લાવી સોનેરી ભવિષ્ય બનાવવું..!! તે પહેલાં જ કેન્સરએ તેના સ્વપ્નને કેન્સલ કરી દીધું…ને સવા મહિના પૂર્વે જ બોર્ન કેન્સર સામે જંગ હારી પણ જિંદગી જીતી ગઈ…!! શ્રમિક પરિવારની આ પુત્રી જિંદગીને અલવિદા કરતાં પહેલાં અનેક લોકો માટે પ્રેરણા બની…પોતાની કેન્સરની સારવાર તો ઠીક વાંકાનેરથી સારવાર માટે આવતાં પરિવારને દાતાઓ પડખે આવતાં,આવી પરિસ્થિતિમાં આ 14 વર્ષની દીકરીએ પોતાની મૂડી કેન્સર દર્દીઓ માટે બનનારા પેલેએટિવ કેર સેન્ટર માટે આપી છે.

રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સરનાં એવાં દર્દીઓ કે તેમનાં જીવનનો એક પડાવ તેઓ શાંતિથી જીવી શકે..જયારે ડોક્ટરો એવા કેસમાં હાથમાં ઉંચા કરી દે ત્યારે મોંઘીદાટ સારવાર બાદ પરિવાર પણ આર્થિક રીતે વધુ ખર્ચો ન કરી શકે અને જીવનનો અંતિમ તબક્કો સારી રીતે પસાર કરી શકે તે માટે પલેએટિવ કેર કાલાવડ રોડ પણ બનવા જઈ રહ્યું છે.

આ સેન્ટર સમાજની સહાયથી બનવા જઈ રહી છે,જેના માટે નાનકડી ક્રિષ્ના અણમોલ મૂડી છોડતી ગઈ છે.આ અંગે કેન્સર કેર ફાઉન્ડેશનનાં પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ સોલંકીએ વિગતવાર જણાવ્યું કે,વાંકાનેરની આ બાળકી અમારા ફાઉન્ડેશનની લાડકવાયી બની છે.શ્રમિક પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે,ત્યારે ક્રિષ્નાને હાડકાનું કેન્સર હોવાનું નિદાન થયું,તેની સારવાર રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં ચાલતી હતી.ધો.10ની બોર્ડની પરીક્ષા વખતે જ ક્રિષ્નાની તબિયત વધુ બગડી જતાં પરીક્ષા આપી ન શકી પણ કિમો અને રેડિએસન ટ્રીટમેન્ટ અને પીડાદાયક દુઃખાવા વચ્ચે ફરીવખત પરીક્ષા આપવા તૈયારી કરી રહી હતી.એનો જુસ્સો જોઈ તબીબો પણ તેને સેલ્યુટ કરતાં,ગરીબ પરિવાર પાસે વાંકાનેરથી રાજકોટ અપડાઉન માટેનાં રૂપિયા પણ ન હતા.આ સમયે કેન્સર હોસ્પિટલ અને કેન્સર કેર ફાઉન્ડેશન સહારો બન્યું હતું.આ બધું ક્રિષ્નાએ જોયું હતું.
આ પણ વાંચો : પરવાનેદારોની હડતાળને પગલે વિતરણ વ્યવસ્થા ખોરંભે! રાજ્યમાં માત્ર આટલા જ રેશનકાર્ડ ધારકોને જ મળ્યું નવેમ્બરનું અનાજ
એક વર્ષની સારવાર બાદ વિધિનાં વિધાન બદલી શકયા નહિ ને આ માસૂમ ફુલે સવા મહિના પહેલાં દુનિયાને અલવિદા કહ્યું,તમામ વિધિ પુરી થઈ ગયા બાદ તેના પિતા ક્રિષ્નાની બધી વસ્તુ જોતા હતા ત્યારે તેના હાથમાં ક્રિષ્નાએ લખેલો એક લેટર હાથમાં આવ્યો જે વાંચીને પરિવારજનો સાથે કેન્સર કેર ફાઉન્ડેશનનાં સભ્યો પણ ચોધાર આંસુએ રડી પડ્યા…ક્રિષ્નાએ લખ્યું હતું કે,મેં થોડા થોડા રૂપિયા બચાવ્યા છે જે આ સેન્ટર બને છે એના માટે પપ્પા આપી દેજો…આ રકમ 1000 રૂ. છે,તુરંત જ પરિવાજનોએ ક્રિષ્નાની છેલ્લી ઈચ્છા પૂરી કરી,જે અંગે અશ્વિનભાઈ કહે છે કે,આ દીકરીની લાગણી દરિયા જેવી છે.અમને નવો રસ્તો બતાવ્યો છે.અમારા પલેટિવ સેન્ટર માટે ક્રિષ્ના પ્રેરણા બની છે.તેની 1000 રૂ ની બચત અમારા માટે 100 કરોડ કરતાં પણ વધુ છે.
પલેએટિવ સેન્ટર માટે ક્રિષ્ના પ્રેરણા બની
કેન્સર પીડિત દર્દીઓ માટે રાહત મળે અને બધી સગવડતા એક જ સ્થળે વિનામૂલ્યે મળી રહે એ માટે ફાઉન્ડેશન પલેએટિવ કેર સેન્ટર બનવા જઈ રહ્યું છે.ક્રિષ્નાની મદદ બાદ અમે ફાઉન્ડેશનનાં સભ્યો માટે આ યોજના શરૂ કરી છે જેમાં લાખો કે કરોડો રૂપિયાની સહાય ભલે ન કરી શકે,ક્રિષ્નાની જેમ 500 કે 1000 રૂપિયાની કે પોતાની ક્ષમતા મુજબ ફૂલ નહિ ફૂલની પાંખડી આપે તો પણ ટીપે ટીપે સરોવર ભરાશે.સેન્ટરનાં અનુદાન માટે કેન્સર કેર ફાઉન્ડેશન….મો.સંપર્ક કરી શકાશે.
