રૂપાલા વિવાદ: ક્ષત્રિય આગેવાનો અને ભાજપની બેઠક નિષ્ફળ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ ભભૂકી રહ્યો છે. રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક મળી હતી. જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો પણ જોડાયા હતા. અમદાવાદના ગોતામાં મોટા મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદિપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે. જે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સંભાળી હતી.
આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરતાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, સંકલન સમિતિની કોર કમિટી આજે બેઠકમાં હાજર હતી. મે કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે. રૂપાલાએ વિવાદના થોડા સમયમાં જ માફી માગી હતી. માડિયા સમક્ષ માફી માગી હતી. પ્રદેશ અધ્યક્ષે પણ મોટું મન રાખીને માફ કરી દેવા વિનંતી કરી હતી. મેં આજ વાત અમારા સૌના વચ્ચે કોર કમિટી સમક્ષ રજૂ કરી. અમે બધાને સાંભળ્યા. બધા લોકોએ એક જ વાત કરી કે, પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે. આ સિવાય એક પણ વાત અમને મંજૂર નથી. અમારી હાજરીમાં તેમણે સર્વાનુમતે કહ્યું કે, તમે રૂપાલાને માફી આપવાની વાત લઇને આવ્યા છો તે અમને મંજૂર નથી.
કરણસિંહે કહ્યું કે, સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઇ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી. અમારું પહેલા પણ એ જ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ જ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ આજ સ્ટેન્ડ રહેશે. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રહેશે.
બેઠક બાદ તૃપ્તીબાએ જણાવ્યું કે, રૂપાલાનું નિવેદન સ્લીપ ઓફ ટંક નથી. પાર્ટી તરફથી આવેલા આગેવાનોને રજૂઆત કરી છે કે તમે હવે સમાજ તરફથી જાવ અને પિતા-ભાઇ તરીકે પાર્ટીને સમજાવો કે, આ સ્વાભિમાનનો સવાલ છે. છતાં જો પાર્ટી રૂપાલાની ટિકિટ રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે કે રૂપાલાના નિવેદનને બીજેપી પણ સમર્થન આપે છે. અમારી અસ્મિતાનો સવાલ છે.