અછતની અફવા : પેટ્રોલ-ડીઝલની ગભરાટભરી ખરીદી બાદ ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરવી પડી, પેટ્રોલ પંપ ઉપર ભીડ ન કરવા લોકોને અપીલ
મધ્ય પૂર્વમાં તણાવને પગલે, સોશિયલ મીડિયા અને કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાને પગલે પગલે ગભરાટભરી ખરીદી શરુ થઇ છે પરિણામે અનેક પેટ્રોલપંપ ઉપર વાહનોની લાઈન જોવા મળી છે. આ સંદર્ભે ઓઈલ કંપનીઓએ પર્યાપ્ત સ્ટોક હોવાની સ્પષ્ટતા કરવી પડી છે સાથોસાથ લોકોને ઇંધણનો સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઉભી ન કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખેતીવાડી માટે ડીઝલની ગભરાટભરી ખરીદી શરુ થઇ છે. શુક્રવારે અનેક પેટ્રોલપંપ ઉપર લોકો બેરલ લઈને ગયા હતા અને ૨૦૦-૨૦૦ લીટર ડીઝલની ખરીદી કરી હતી. પેટ્રોલીયમ ડીલર એસોસિએશનના અગ્રણી ગોપાલભાઈ ચુડાસમાએ વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં કહ્યું કે, શહેરમાં આવી કોઈ ખરીદી નથી થઇ પરંતુ ગ્રામીણ વિસ્તારમાં લોકો જરૂર કરતા વધારે ખરીદી કરી રહ્યા છે. તેમણે લોકોને પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને નહી ગણકારવા અનુરોધ પણ કર્યો હતો.
શુક્રવારે સાવરકુંડલા, વડીયા, કેશોદ, ધારી જેવા ગામોમાં પેટ્રોલ પંપ ઉપર ભીડ જોવા મળી હતી. એક સ્થળે તો સ્ટોક ખલાસ થઇ જતા પમ્પ બંધ કરી દેવાની નોબત આવી હતી.
આ પણ વાંચો :મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર: ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, કોમર્શિયલ અને રાંધણ ગેસ સિલિન્ડર મોંઘા
છેલ્લા કેટલાક દિવસોથી, દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગેના સમાન અહેવાલો ફેલાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં દેશની અગ્રણી તેલ કંપનીઓ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમેં સ્પષ્ટતા કરી છે.
HPCL અને BPCL બંનેએ ટ્વીટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતા પેટ્રોલ અને ડીઝલની અછતના અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. કંપનીઓ માને છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં ઇંધણ ભંડાર છે.કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે સપ્લાય ચેઇન સંપૂર્ણપણે સામાન્ય છે અને તેલ પુરવઠામાં કોઈ વિક્ષેપ પડ્યો નથી.
કંપનીઓએ ખાસ કરીને નાગરિકોને અફવાઓને કારણે બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર દોડી ન જવા વિનંતી કરી છે. જ્યારે હજારો લોકો એક સાથે પંપ પર જરૂરિયાત કરતાં વધુ ઇંધણ ભરવા માટે દોડી જાય છે, ત્યારે તે કૃત્રિમ અછતની સ્થિતિ બનાવે છે, જેને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. BPCL એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તે બધા ગ્રાહકો માટે અવિરત ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. કૃપા કરીને ફક્ત સત્તાવાર સ્ત્રોતોમાંથી મળેલી માહિતી પર વિશ્વાસ કરો.
