રોડ સેફટી માટે ૧૮૮ કરોડ રૂપિયા ખર્ચાશે
૩૨૯ કિલોમીટરની લંબાઈના રસ્તા ઉપર વળાંક સુધારણા- ક્રેશ બેરિયર- સ્પોટ વાઇડનીંગ થશે
ફોર અને સિક્સ લેન ઉપર એન્ટી ગ્લેર સીસ્ટમ લાગુ કરાશે
રાજ્યમાં માર્ગ અકસ્માતોની વધતી જતી સંખ્યાથી ચિંતિત રાજ્ય સરકારે રોડ સેફટી માટે ૧૮૮ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. રાજ્યનું માર્ગ-મકાન વિભાગ ટૂંક સમયમાં વિવિધ કામો હાથ ધરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે રૂ।. ૧૦૦.૫૩ કરોડ મંજુર કર્યા છે. તદનુસાર ,વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ , તથા રોડ ફર્નિચર વગેરે કામગીરી ના કુલ ૮૦ કામો ૩૨૮.૭૩ કિલોમીટર લંબાઇના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્ટીગ્લેર સિસ્ટમ લગાવવા કુલ ૭૮૬.૪૧ કિલોમીટરની લંબાઈના માર્ગો પર ૭૬ કામો માટે ૮૭.૫૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે.