રિલાયન્સ ગુજરાતમાં પાંચ વર્ષમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે: વાઈબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણીની જાહેરાત
વાઈબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોઈ આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તો તે રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણી હતા. મુકેશ અંબાણી પહેલી વાર રાજકોટ આવ્યા હતા અને આ સમિટના માધ્યમથી રિલાયન્સ આવનારા પાંચ વર્ષમાં ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી. તેમણે આવનારા સમયમાં જામનગરમાં વિશ્વકક્ષાની હોસ્પિટલ બનાવવાની જાહેરાત પણ કરી હતી.
મુકેશ અંબાણીએ કહ્યું કે, `રિલાયન્સ એક ગુજરાતી કંપની છે. ગુજરાત અમારી આત્મા છે, ગુજરાત અમારું શરીર છે.’ હું આજે તમારી સમક્ષ 5 વચનો સાથે ઉભો છું. મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, ‘છેલ્લા પાંચ વર્ષમાં અમે ગુજરાતમાં 3.5 લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યું છે. આજે હું ખુશીથી જણાવું છું કે આગામી 5 વર્ષમાં અમે આ રોકાણ બમણું એટલે 7 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જઈશું’
તેમણે જણાવ્યું કે , `જામનગરમાં વર્લ્ડની સૌથી મોટી ક્લિન એનર્જી ઇકો સિસ્ટમ ઉભી કરી રહ્યા છીએ. ગુજરાતને દેશનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પોયોનિયર બનાવીશું. જામનગરમાં અમે ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તૈયાર ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. આનો એકમાત્ર ઉદ્દેશ છે દરેક ભારતીયને સસ્તું AI આપવાનો છે. જિયો ટૂંક સમયમાં ભારત માટે બનેલું, ભારતના લોકો માટે બનેલું એક નવું પીપલ-ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ પ્લેટફોર્મ દ્વારા ગુજરાતથી શરૂ કરીને દરેક નાગરિક પોતાની ભાષામાં, પોતાના ફોન પર રોજ AIની સેવા મેળવી શકશે. આનાથી લોકો વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનશે.’
તેમણે કહ્યું કે, ‘અમે દેશની ઓલિમ્પિક એમ્બિશનમાં સહભાગીદાર બનીશું. 2036ની ઓલિમ્પિક માટે ગુજરાત સરકારની સાથે મળીને નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મેનેજ કરીશું અને ભારતના ભાવિ ચેમ્પિયનને ટ્રેિંનગ આપીશું.’
જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘અમે ગુજરાતના જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવીશું. ગુજરાતનો વિકાસ એ અમારો સંકલ્પ છે. ‘ તેમણે કહ્યું કે, `હું આજે એક મહત્વનો મુદ્દો મૂકવા માગું છું. જીયો પોલિટિકલ પડકારો ઉભા થઈ રહ્યા છે. આ પડકારો આપણને સ્પર્શી નહીં શકે કારણ કે ભારત ફરતે નરેન્દ્ર મોદીએ અદ્રશ્ય સલામતિ દિવાલ ઉભી કરી છે.’
રાજકોટ તો ગુજરાતનું કીંગ છેઃ મુકેશ અંબાણીએ કર્યા વખાણ
રિલાયન્સનાં ચેરમેન મુકેશભાઈ અંબાણીએ વાઈબ્રન્ટ સમિટની પોતાની સ્પીચમાં રાજકોટ શહેરના વખાણ કર્યા હતા. તેમણે રાજકોટને ગુજરાતનું કીંગ ગણાવ્યું હતું. મુકેશ અંબાણીએ પોતાની સ્પીચની શરૂઆત “જય સોમનાથ” સાથે કરી હતી. તેમણે કહ્યું કે, ‘હું રાજકોટને સલામ કરું છું, તે ખરેખર ગુજરાતનું કિંગ છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પછી ઐતિહાસિક શહેર એવા રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ મારા માટે ગર્વની વાત છે. હું સૌરાષ્ટ્રની ભૂમિને નમન કરું છું. મારા પૂજ્ય પિતા ધીરુભાઈ અંબાણી સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતા અને તેમનો જન્મ ચોરવાડમાં થયો હતો.’ તેમણે જામનગરમાં રિલાયન્સ દ્વારા કરવામાં આવેલા રોકાણની વાત પણ કરી હતી. આ પૂર્વે મુકેશભાઈ અંબાણી અને પરિમલભાઈ નથવાણી વાઈબ્રન્ટના સ્થળે આવી પહોંચતા તેમને જોવા માટે અને તેમનું અભિવાદન કરવા માટે લોકો એકઠા થઇ ગયા હતા
