પગલાં લેવા તૈયાર છીએ પણ પુરાવા તો આપો: જયશંકર
ચાબખા : કેનેડા ગુનેગારો,આતંકવાદીઓનો ગઢ બની ગયું છે.
શીખ આતંકવાદી હરમિંદર સિંઘ નિજ્જરની કેનેડામાં થયેલી હત્યાના વિવાદ વચ્ચે ન્યૂયોર્કમાં ભારતના વિદેશ મંત્રી જયશંકરે આ મુદ્દે મહત્વની ચોખવટો કરી હતી.
કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ ના કાર્યક્રમમાં બોલતા વિદેશ મંત્રીએ કહ્યું કે હત્યામાં ભારતની સંડોવણી અંગેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ આક્ષેપ તો કર્યા પણ પુરાવા નથી આપતા. તેમણે કહ્યું કે ન્યાયની ઉપરવટ જઈ અને હત્યાઓ કરવી એ ભારત સરકારની નીતિનો ભાગ નથી. તેમણે ઉમેર્યું કે ભારત પગલાં લેવા તૈયાર છે પણ એ માટે કેનેડાએ પુરાવા તો આપવા જોઈએ અને મુશ્કેલીને છે કે હજુ સુધી આપ્યા નથી.
તેમને જ્યારે સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું કે શું ભારતને પુરાવા નથી મળ્યા? ત્યારે તેમણે જવાબ આપ્યો કે પુરાવા મળ્યા હોય તો શું મેં ન જોયા હોય?
એ કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે કેનેડાની પરિસ્થિતિ અંગે પણ સચોટ ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે કેનેડામાં રાજકીય કારણોસર જાણે કે સરકારની અનુમતિ હોય તે રીતે ભાગલાવાદી દળો દ્વારા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ, હિંસા અને ઉગ્રવાદ ફુલ્યો ફાલ્યો છે. આ બાબતે ભારતે કેનેડાને ઢગલાબંધ માહિતી આપી છે. કેનેડામાં આતંકવાદીઓ આશરો લઈ રહ્યા છે. તેમના પ્રત્યાર્પણની અમારી એક પણ વિનંતી કેનેડાએ સ્વીકારી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કેનેડાને આ માહિતી ફાઈવ આઇ દ્વારા આપવામાં આવી હતી ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ સવાલ તમે ખોટી વ્યક્તિને પૂછી રહ્યા છો.હું ફાઈવ આઈ પણ નથી અને એફબીઆઈ પણ નથી. નોંધનીય છે કે જસ્ટિન ટુડો અને તેમના પ્રધાનોએ વિવિધ મંચો ઉપરથી હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા હોવાનો દાવો અનેક વખત દોહરાવ્યા બાદ ભારત તરફથી પ્રથમ વખત વૈશ્વિક મંચ ઉપર આ મુદ્દે ખુલાસો કરવામાં આવ્યો હતો.
હિન્દુઓ પણ આક્રમક બન્યા પન્નુ ઉપર પ્રતિબંધ ની માગણી
જસ્ટિન ટુડોએ આક્ષેપ કર્યા બાદ કેનેડામાં હિન્દુઓને ધમકી આપવાના બનાવવામાં મોટો વધારો નોંધાયો હતો.પ્રારંભે હિન્દુ સમુદાયમાં ભય અને અસલામતીની લાગણી ફેલાઈ હતી પણ હવે હિન્દુઓએ પણ સામે બાંયો ચડાવી છે. કેનેડાના હિન્દુ સંગઠન ‘ હિન્દુ ફોરમ કેનેડા ‘ એ હિન્દુઓને કેનેડા છોડીને ભાગી જવાની ધમકી આપનાર શીખ ફોર જસ્ટિસ સંગઠનના વડા ગુરૂપત્વાન સિંઘ પન્નુને કેનેડામાં પ્રવેશબંધી ફરમાવવાની માગણી કરી છે. એ સંસ્થાના વકીલ પીટર થોરનીગે કેનેડાના રેફ્યુજી એન્ડ ઇમિગ્રેશન મિનિસ્ટરને કરેલી લેખિત રજૂઆતમાં આ માગણી માટેના કારણો દર્શાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભડકામણા વિડીયો અને હિન્દુઓને કેનેડા છોડી જવાની ધમકી આપી ગુરુ સતવાનસિંહ નફરત અને વહીમનસ્ય ફેલાવવાનો તેમજ હિંસા ને ઉત્તેજન આપવાનો ગુનો કર્યો છે. તેમની સામે ક્રિમિનલ કોડ ની કલમ 319 મુજબ કામ ચલાવી અને પ્રવેશબંધી નો આદેશ કરવા વકીલે અનુરોધ કર્યો છે.આ સંગઠન અને પન્નુ બંનેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યા છે તેનો પણ આ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.