આજે અમદાવાદમાં ‘રનસંગ્રામ’: ગુજ્જુ ત્રિપૂટીના ખભે રહેશે મહત્ત્વની જવાબદારી, સાંજે 7 વાગ્યાથી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ
ટી-20ના વર્લ્ડ કપનો ફાઈનલ મેચ રવિવારે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. બંને ટીમ મજબૂત છે પણ કરોડો ક્રિકેટપ્રેમીઓના મનમાં અને દિલમાં ઇન્ડિયા… ઇન્ડિયા… નો નારો ગુંજી રહ્યો છે અને 1 લાખથી વધુ પ્રેક્ષકો પણ આ જ નારો લગાવીને ભારતીય ખેલાડીઓને પાનો ચડાવશે.
આજથી 3 વર્ષ પહેલાં એટલે કે 2023માં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો રમવા અમદાવાદમાં ઉતરી હતી. આ મેચ છેવટ સુધી રોમાંચક રહી હતી પરંતુ ટ્રેવિસ હેડ સહિતના બેટરે દમદાર બેટિંગ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો જ નહીં પરંતુ ભારતના તમામ ક્રિકેટરસિકોને ‘શાંત’ કરી દીધા હતા. 3 વર્ષ પહેલાં જે ગ્રાઉન્ડ ઉપર ફાઈનલમાં હાર મળી હતી તે જ ગ્રાઉન્ડ ઉપર આજે વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો કરવા ટીમ ઈન્ડિયા ઉતરશે. જો કે આ વખતે ફાઈનલ વન-ડે નહીં પરંતુ ટી-20 વર્લ્ડકપનો છે અને હરિફ ટીમ ઑસ્ટ્રેલિયા નહીં ન્યુઝીલેન્ડ છે. એકંદરે આજે રવિવારે અમદાવાદમાં થનારા ‘રનસંગ્રામ’ને જીતી ભારત સળંગ બીજો તો ન્યુઝીલેન્ડ પોતાનો પ્રથમ વર્લ્ડકપ જીતવા માટે મેદાને ઉતરશે.
બેટર્સ માટે સ્વર્ગ સમાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આ વર્લ્ડકપમાં ફાઈનલ મેચ પહેલાં 6 મેચ રમાઈ છે જેમાં 2 મેચ પ્રથમ દાવ લેનારી તો 3 મેચ બીજો દાવ લેનારી ટીમ જીતી છે. જ્યારે અફઘાનિસ્તાન-આફ્રિકા વચ્ચેની મેચ ટાઈ રહી હતી. એકંદરે આ સીઝનમાં અહીં પ્રથમ ઈનિંગનો સ્કોર 187 રનથી લઈ 213 રન સુધીનો રહ્યો હોય ફાઈનલ મેચ પણ હાઈ-સ્કોરિંગ બની રહેવાની શક્યતા નકારી શકાતી નથી.
આ પણ વાંચો :IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
ભારતમાં ક્રિકેટ પ્રત્યે કેટલી ઘેલછા તે કહેવાની અત્રે જરૂર નથી. 2024 બાદ 2026ના ટી-20 વર્લ્ડકપના ફાઈનલમાં પણ ભારતીય ટીમ રમવાની હોય 140 કરોડ લોકોની ખુશી ‘સૂર્યાબ્રિગેડ’ના હાથમાં રહેશે. સુપર-8થી લઈ સેમિફાઈનલ જીત્યા ત્યાં સુધીમાં સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે ફોર્મમાં હોય આ લોકો અમદાવાદમાં સફળ થયા અને સૂર્યકુમાર યાદવ તેમજ અભિષેક શર્માનું બેટ ગર્જ્યું તો વર્લ્ડકપ જીતતા ભારતને કોઈ રોકી શકશે નહીં તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ ઉપરાંત બોલિંગમાં જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તીનું કાંડું કરામત બતાવે તો ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટરો ટીમ સાયફર્ટ, ફિન એલેન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ સહિતના બંધાયેલા રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એકંદરે આજે રવિવારે સાંજે 7 વાગ્યાથી રાજકોટ સહિત આખા ગુજરાત તેમજ દેશમાં ક્રિકેટ કર્ફ્યૂ લાગી જશે તે નિશ્ચિત છે.
આ વર્લ્ડકપમાં ભારત અને ન્યુઝીલેન્ડ બન્ને અમદાવાદમાં હાર્યા!
વર્લ્ડકપ-2026ના લીગ રાઉન્ડમાં ન્યુઝીલેન્ડની ટીમ સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં રમવા ઉતરી હતી જેમાં તેનો 7 વિકેટે પરાજય થયો હતો. જ્યારે સુપર-8માં ભારતને પણ આ જ ગ્રાઉન્ડ ઉપર આફ્રિકાએ જ હરાવ્યું હતું. એકંદરે આ વર્લ્ડકપની ફાઈનલિસ્ટ બન્ને ટીમ અમદાવાદમાં આફ્રિકા સામે પરાજિત થઈ ચૂકી છે.
ગુજ્જુ ત્રિપૂટીના ખભે રહેશે મહત્ત્વની જવાબદારી
વર્લ્ડકપ શરૂ થયો ત્યારથી લઈ ફાઈનલ સુધી ગુજરાતના 3 ખેલાડીઓ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રિત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે ચાવીરૂપ સાબિત થયા હોય ન્યુઝીલેન્ડ સામે પણ આ 3ના ખભા ઉપર વિશેષ જવાબદારી રહેશે. હાર્દિક અને અક્ષર ઑલરાઉન્ડર તરીકે મેદાને ઉતરશે તો બુમરાહ કે જે ભારતીય બોલિંગનું નેતૃત્વ કરી રહ્યો છે તેના ઉપર ન્યુઝીલેન્ડના બેટર્સને ‘કાબૂ’માં રાખવાનું કામ રહેશે.
