આજે રાજકોટ ભીની આંખે આપશે વિજયભાઈને વિદાય : અંતિમ દર્શન-અંતિમ સંસ્કાર માટે આ 4 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા
રાજકોટ જ નહીં બલ્કે ગુજરાતના લોકલાડિલા, મહામૂલા સહિતના અનેક શબ્દોથી જેમને નવાજવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવશે તેવા વિજયભાઈ રૂપાણીને આજે સમગ્ર રાજકોટ ભીની આંખે વિદાય આપશે. આજે બપોરે 2ઃ30 વાગ્યે વિજયભાઈનો પાર્થિવ દેહ ગ્રીનલેન્ડ ચોકડીએ આવી ગયા બાદ શહેરીજનો પોતાના પ્રિય નેતાની છેલ્લી ઝલક નિહાળવા તેમજ અંતિમ દર્શન કરવા માટે રસ્તાઓ પર ગોઠવાઈ જશે. બીજી બાજુ કોઈ જ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પણ અલાયદી તૈયારી કરવામાં આવી હતી સાથે સાથે કમલમ્ કાર્યાલય ખાતે શહેર ભાજપ સંગઠનની મળેલી બેઠકમાં દરેક કોર્પોરેટરોને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી.

બપોરે વિજયભાઈનો પાર્થિવ દેહ ગ્રીનલેન્ડ ચોકડીએ આવી પહોંચ્યા બાદ ત્યાંથી કૂવાડવા રોડ ડી-માર્ટ ચોક, રણછોડદાસ આશ્રમ, ડિલક્સ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ બેડીનાકા જતા, હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપર, અરવિંદભાઈ મણિયાર હોલ, ચૌધરી હાઈસ્કૂલ ચોક, ધરમ સિનેમા (આર.વર્લ્ડ), બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ રેસકોર્સ, રૈયારોડ, આઝાદ ચોક, નરેન્દ્ર પારેખ માર્ગ, હનુમાનમઢી ચોક, નિર્મળા રોડ, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટીમાં `પુજિત’ મકાન સુધી શબવાહિની પસાર થવાની હોય આ તમામ રસ્તે વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ રહેશે. આ ઉપરાંત શબવાહિની પસાર થવાના સમય દરમિયાન ઉપરોક્ત રૂટ ઉપર બન્ને બાજુની શેરીમાંથી કોઈ પણ પ્રકારના વાહનો અંતિમયાત્રા-શબવાહિનીને ક્રોસ કરી શકશે નહીં તેવું જાહેરનામું ઈન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અંતિમ દર્શન તેમજ અંતિમ સંસ્કાર સમયે હજારો લોકો હાજર રહેવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા ચાર સ્થળે પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરમિયાન રવિવારે સાંજે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા શબવાહિની પસાર થવાનો રૂટ, અંતિમયાત્રાનો રૂટ સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આજે રાજકોટમાં વિજયભાઈનું અંતિમ પ્રયાણ : બપોરે 2 વાગ્યે પાર્થિવ દેહ હીરાસર એરપોર્ટ પહોંચશે, સાંજે 6 વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર
જ્યારે સાંજે કમલમ્ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવેના વડપણ હેઠળ સંગઠનના હોદ્દેદારો તેમજ કોર્પોરેટરોની બેઠક મળી હતી જેમાં તમામને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અંતિમ દર્શન-અંતિમ સંસ્કાર સમયે કરાયેલી પાર્કિંગ વ્યવસ્થા
- પાર્કિંગ-1 : VVIP માટે કે.કે.શેઠ ફિઝિયોથેરાપી કોલેજના પાછળના ભાગે, ઓમકાર એપાર્ટમેન્ટની સામેની બાજુ પાર્કિંગ માટે તિરુપતિનગર શેરી નં.1ના ગેટથી પ્રવેશ કરવો
- પાર્કિંગ-2ઃ નિર્મલા સ્કૂલની અંદરના ભાગે
- પાર્કિંગ-3ઃ સોજીત્રાનગરમાં આવેલા પાણીના ટાંકાના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં
- પાર્કિંગ-4ઃ વીરબાઈ મહિલા કોલેજ, નિર્મલા રોડ ફાયરબ્રિગેડની સામે કોલેજના પાછળના ભાગે
તમામ રૂટનું પોલીસ દ્વારા નિરીક્ષણ, અંતિમ દર્શન માટે ખાસ વ્યવસ્થા કરાઈ
આજે વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ શરીર રાજકોટ આવી પહોંચ્યા બાદ બપોરે 4થી 5 વાગ્યા દરમિયાન અંતિમ દર્શન માટે રાખવામાં આવનાર છે ત્યારે તેમાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ તૈયારી કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા અંતિમયાત્રા સહિતના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે મંગળવારે રેસકોર્સ ખાતે પ્રાર્થના સભા યોજાવાની છે ત્યાં પણ લોકોની અવર-જવર સુગમ રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થાનું ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, મેયર નયનાબેન પેઢડિયા, કોર્પોરેટરો પુષ્કર પટેલ, ચેતન સુરેજા સહિતનાએ પણ નિરીક્ષણ કરી જરૂરી સુચના આપી હતી.