- મહાપાલિકાનું આકરું પગલું: માર્જિનની જગ્યા તેમજ બીયુ મેળવ્યા બાદ વધારાના બાંધકામ ખડકાઈ ગયા’તા
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ સૌથી વધુ જો કોઈ બદનામ થયું હોય તો તે મહાપાલિકાનો ટાઉન પ્લાનિંગ વિભાગ છે. અહીંથી જે પ્રકારે એક બાદ એક ભ્રષ્ટાચાર કરાયો હતો તેના કારણે લોકોનો હવે આ શાખા પરથી વિશ્વાસ ઉઠી જવા પામ્યો છે. આ વિશ્વાસ ફરીથી કેળવવા માટે ટીપી શાખા દ્વારા આક્રમક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડિંગને સીલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આવા જ બે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટીપી શાખા દ્વારા એરપોર્ટ રોડ પર એક્ઝાનનગર, મુફદ્દલ મકાનની બાજુમાં, ડૉ.સૈયદ બુરહાની માર્ગ પર ગંગાદાસ જોગરાણા નામની વ્યક્તિ દ્વારા માર્જિંનમાં વાયોલેશન કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાથી તે બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વોર્ડ નં.૩માં અયોધ્યા ચોક પાસે ભોગવટા પરવાનગી મેળવ્યા બાદ વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરનાર શારદા સાનિધ્ય-૨ને પણ સીલ કરી દેવાતાં ગેરકાયદે બાંધકામ કરનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.