તબીબ પતિએ રૂ.5 લાખ ગુમાવ્યાના આઘાતમાં રાજકોટના મહિલા તબીબનો આપઘાત? રહસ્ય વધુ ઘેરું બન્યું, વાંચો સમગ્ર ઘટના
રાજકોટના મોરબી રોડ પર આસ્થા સાંગ્રીલા નામની કોલોનીમાં રહેતા તબીબ ધવલ પ્રવીણભાઈ મોલિયા (ઉ.વ.28) સાથે સસ્તામાં સોનુ આપવાની લાલચે ખોટું સોનુ પધરાવીને ત્રિપુટીએ પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી, વિશ્વાસઘાત આચર્યાની ઘટનામાં ઉંડુ રહસ્ય છે કે તબીબ છેતરાયાના ત્રીજા દિવસે જ તેમની લેડી ડોક્ટર પત્ની એંજલે હોસ્પિટલમાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું. સારવાર બાદ જીવ ગુમાવ્યો હતો. શું પતિ છેતરાયાના આઘાતમાં મહિલા તબીબે આપઘાત કરી લીધો હશે ? આવા તાણાવાણા સર્જતી ઘટનામાં પોલીસે સત્ય શું છે તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો આવું બન્યું હોત તો ચીટર ત્રિપુટીના કારણે એક આશાસ્પદ મહિલા તબીબે જીવ ગુમાવવો પડ્યો કહી શકાય.

ચકચારી બનેલા સમગ્ર ઘટનાક્રમની વિગતો મુજબ મોરબી રોડ પર આસ્થા સાંગ્રીલા બ્લોક નં.99માં રહેતા ડોક્ટર ધવલ મોલિયા ઘરનજીક સમય ગોલ્ડ નામના બિલ્ડિંગમાં રૂદ્ર ક્લિનિક નામે દવાખાનું ધરાવે છે. તેમના પત્ની એંજલ (ઉ.વ.27) એસ.ટી. બસ સ્ટેશન પાછળ બાલાજી હોસ્પિટલમાં બે વર્ષથી આઈસીયુ આસિ. ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ડો.ધવલને ગત તા.15ના રોજ રમેશ નામના વ્યક્તિનો ફોન આવ્યો કે તબિયત બરોબર નથી તો દવા લેવી છે ક્યારે દવાખાને આવો છો. ધવલે થોડીવારમાં પહોંચું છું કહ્યું અને ક્લિનિક પર જતાં 30 વર્ષિય શખસે તાવ આવે છે, કમર દુખે છે કહી દવા લીધી હતી. પોતાની પાસે રહેલો ચાંદીનો સિક્કો બતાવ્યો હતો. ડોક્ટર ધવલે સિક્કો જોઈને કહ્યું કે આનું કાંઈ ન આવે.
દવા લેવા આવેલા શખસે કહ્યું કે તે ગોંડલ રોડ ચોકડી પાસે મજૂરીકામ કરે છે, ત્યાં ખોદકામ કરતી વખતે સોનાના દાગીના મળેલા છે, તમારે જોઈતા હોય તો આવીને જોઈ જજો. ફરી બીજા દિવસે તા.16ના રોજ સવારે ફોન આવ્યો. સિવિલ હોસ્પિટલ ચોકમાં તબીબને સોનાના ઘરેણા જોવા બોલાવ્યો, તબીબ ધવલ મોલિયા ત્યાં જતા અન્ય એક અંદાજે 25 વર્ષિય પુરૂષ અને એક 55 વર્ષની મહિલા ઉભા હતા. મહિલાના હાથમાં કાળા કલરની કોથળી હતી તેમાં પીળા ધાતુની માળાઓ હતી અને જે સોનાની છે. અંદાજે એકાદ કિલો હોવાની વાત કરી હતી. સોનુ છે કે નહીં તે ખરાઈ કરવા માળામાંથી એક કટકો કાપીને આપ્યો હતો. તબીબે રણછોડનગરમાં પટેલ હોલમાર્ક સેન્ટરમાં ચેક કરાવતા 18 કેરેટ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.
તબીબે રાત્રે ઘરે જઈને પત્ની એંજલને સસ્તામાં સોનુ મળતું હોવા બાબતે વાત કરી હતી અને સોનુ લેવાનું દંપત્તીએ નક્કી કર્યું હતું. બીજા દિવસે તા.17ના ડોક્ટરે રમેશનો સંપર્ક કરી એક લાખમાં સોનુ માંગ્યું અને અંતે પાંચ લાખમાં નક્કી થયું હતું. ચીટર ત્રિપુટીએ સુરેન્દ્રનગર આવવા કહ્યું. વાતો બાદ તા.19ના રોજ ચોટીલા ભેગા થયા હતા ત્યાં બન્ને શખસો અને મહિલા આવ્યા હતા. તબીબ દંપત્તી (ધવલ અને એંજલ બન્ને) પણ રાજકોટથી ટૂ-વ્હિલર પર ચોટીલા પહોંચ્યા હતા. જ્યાં પાંચ લાખ આપીને દંપત્તીએ સોનાના ઘરેણાની થેલી આપી હતી.
તબીબ દંપત્તી સોનાના ઘરેણા લઈને રાજકોટ પહોંચ્યા હતા. ચોટીલાથી સીધા જ તા.19ની સાંજના જ ઘરેણા ચેક કરાવવા પટેલ હોલમાર્ક સેન્ટરમાં પહોંચ્યા હતા જ્યાં ઘરેણા ચેક કરતાં નકલી હોવાનો રિપોર્ટ આવ્યો હતો.ધવલે ઘરેણા દેનાર રમેશને ફોન કરતાં તેનો ફોન સ્વિચઓફ આવ્યો હતો. તા.20ના પણ ફોન લાગ્યો ન હતો જેથી દંપત્તી સસ્તામાં પાંચ લાખ રૂપિયામાં જ એક કિલો જેટલા સોનાના ઘરેણાના નામે છેતરાયું હતું.

ઘરેણા તા.19ના લઈને આવ્યાના 49 કલાક પણ ન થયાને તા.21ના રોજ મહિલા તબીબ એંજલ ધવલ મોલિયાએ તેના ફરજ સ્થળ બાલાજી હોસ્પિટલે જ એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લઈ લેતા ત્યાં જ ઢળી પડી હતી અને સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પત્નીના આપઘાતના બે દિવસ બાદ ગતરાત્રે ડોક્ટર ધવલ મોલિયાએ રમેશ તથા બે અજાણી વ્યક્તિ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
તબીબ હોવા છતાં કલ્પી ન શકાય કે એક કિલો સોનું પાંચ લાખમાં આવે?
તબીબ દંપત્તી કલ્પી ન શક્યા કે એક કિલો સોનુ કે જેની કિંમત એક કરોડથી ઉપર થાય તે માત્ર પાંચ લાખમાં આપે ખરા ? સૌથી પ્રથમ તો ડોક્ટર પતિ ધવલ ચાંદીના સિક્કામાં વાતમાં આવી જતાં ચીટરને થયું કે લાલચમાં ફસાઈ જશે. જાળ બિછાવીને તબીબ દંપત્તીને છેતરી લીધું હતું. બન્ને તબીબ હોવા છતાં જો એક વખત સ્હેજે પણ વિચાર્યું હોત કે આટલું સસ્તુ સોનુ આપવા પાછળ કારણ શું હોઈ શકે ? અગાઉ પણ આવા ચીટીંગના કેસ બની ચૂક્યા છે છતાં તબીબ દંપત્તી ફસા, જતાં દુઃખનું આભ ફાટ્યા જેવી હાલ સ્થિતિ થઈ.

દંપતીએ પાંચ લાખની વ્યવસ્થા કરી તો શું કોઇ પાસેથી ઉધાર લીધા હશે કે?
તબીબ ધવલે ચીટર ત્રિપુટી સામે નોંધાવેલી ફરિયાદમાં પત્ની એંજલ બન્નેએ મળીને પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી અને બન્ને ટૂ-વ્હિલર લઈને ચોટીલા ઘરેણા લેવા ગયા હતા. દંપત્તીએ નાણાંની વ્યવસ્થા કરી તો શું બન્નેએ કોઈ પરિચિત કે આવી વ્યક્તિ પાસેથી કોઈ કારણ આપીને તુરંત જ પરત આપી દેવાનું કહીને નાણાં મેળવ્યા હશે ? સોનુ જ ડુપ્લીકેટ નીકળતા હવે પાંચ લાખની રકમનું શું થશે ? એવી કોઈ ચિંતા આવી પડી હશે ને આવા કોઈ કારણસર મહિલાએ અંતિમ પગલું ભર્યું હશે ? જો કે તપાસનીશ પીએસઆઈ એસ.બી. જાડેજાના કહેવા મુજબ ફરિયાદી તબીબનો ફોન સતત નો-રિપ્લાય થતો હોવાની નાણાં કંઈ રીતે મેળવ્યા સહિતની તપાસ હજુ થઈ શકી નથી.
ગુનો ડિટેક્ટ થતાં પોલીસે જ તબીબને ફરિયાદ નોંધાવવા કહ્યું હશે?
મહિલા તબીબે સસ્તામાં સોનુ લેવા ગયાને છેતરાયાના કારણે આત્મઘાતી પગલું ભરી લીધું હશે કે કેમ ? તે હવે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે. બીજી તરફ નકલી સોનુ પધરાવનાર વાંદરી ગેંગ પણ પોલીસે પકડી પાડી છે તો શું આ ગેંગ પકડાયા કે સકંજામાં આવ્યા બાદ કેફિયતના આધારે જ પોલીસે ડોક્યરને ફરિયાદ નોંધાવવા કહ્યું હશે ? તા.19ના બનાવ બાદ હવે ફરિયાદ નોંધાઈ છે. જો કે ફરિયાદમાં તબીબે કારણ પત્નીની તબિયત સારી ન હોવાથી સારવારમાં પડેલો હતો માટે હવે નોંધાવ્યાનું દર્શાવ્યું છે.