રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસો. પ્રમુખે જ અફવા ફેલાવી કે જથ્થો ખૂટી ગયો! રાજ્યમાં પ્રથમ ગુનો નોંધાયો
મીડલિસ્ટ વોરને લઈને ગેસ ઇંધણ ખૂટી જશે તેવી ફેલાયેલી ખોટી અફવા અને ભ્રમના કારણે છેલ્લા 2 દિવસથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી રહી હતી. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર અને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ખોટી અફવાઓમાં ન આવવા અપીલ કરી હતી. સાથે જ આવી અફવાઓ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
આ ઘટનાક્રમમાં આજે રાજ્યમાં પ્રથમ ગુનો રાજકોટમાં નોંધાયો છે. રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા અને તપાસમાં સામે આવતા અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર આવેલી Indian Oil Corporation Limited માં ફરજ બજાવતા અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલ સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન સંભાળતા અધિકારી અમિત શિવપ્રસાદ જયસ્વાલ દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, તા. 23 ના રોજ સવારે ગોપાલ ચુડાસમા સાથે અંદાજે 40 થી 50 પેટ્રોલ-ડીઝલ ડીલરો અને પ્રતિનિધિઓ કોઈ પૂર્વ મંજૂરી વગર ઓફિસે પહોંચ્યા હતા અને જથ્થા અંગે પૂછપરછ કરી હતી. અધિકારી દ્વારા તેમને સ્પષ્ટ જણાવાયું હતું કે પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો યથાવત રહેશે. રજૂઆત કરનારાઓએ લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી.
ફરિયાદમાં આરોપ છે કે ઓફિસમાંથી નીકળ્યા બાદ ગોપાલ ચુડાસમાએ સોશિયલ મીડિયા પર ખોટું નિવેદન આપ્યું કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં ખોટા સમાચાર ફેલાતા પેટ્રોલ પંપો પર લોકોની ભારે ભીડ અને લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે અરાજકતા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોને અનાવશ્યક તકલીફ પડી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સરકાર તરફથી પૂરતો પુરવઠો હોવા છતાં આવી અફવાઓ વિતરણ વ્યવસ્થામાં અડચણ ઉભી કરી શકે છે, લોકોમાં પેનિક ફેલાવી શકે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે છે. આ બાબતની જાણ હોવા છતાં ખોટું નિવેદન આપવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પીએસઆઈ જે.એન. ગમારા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
