નોંધારાનો આધાર બન્યા રાજકોટ આસિ.કલેકટર મહક જૈન : રામપરા બેટી-પીપળીયા ગામના 66 બાળકોને જન્મના દાખલા આપી ભણતા કર્યા
રાજકોટ તાલુકાના રામપરા બેટી, પારેવાડા અને પીપળીયા ગામમાં વિચરતી અને વિમુક્ત સમુદાયનાં લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. જો કે, રાજકોટ જિલ્લા વહીવટીતંત્રએ અહીં વાદી મદારી પરિવારોને કાયમી સરનામું આપ્યા બાદ પણ અનેક પરિવારના 5 થી 18 વર્ષ સુધીની વય જૂથનાં બાળકો તેમજ મોટેરાઓ પાસે જન્મ નોંધણીના દાખલ ન હોવાથી તેઓ શિક્ષણ અને સરકારી યોજનાના લાભથી વાકનહિત ન રહે તે માટે રાજકોટ સીટી પ્રાંત-2 આસિસ્ટન્ટ કલેકટર મહક જૈન દ્વારા સ્થળ ઉપર કેમ્પ કરી આવા 66 બાળકો-મોટેરાઓને જન્મના પ્રમાણપત્રો આપી નોધારાને આધાર આપવાની કામગીરી કરી હતી.

આસિસ્ટન્ટ કલેકટર મહક જૈનના જણાવ્યા મુજબ કાયદાકીય અજ્ઞાનતાના કારણે રામપરા બેટી, પીપળીયા અને પારેવાડા સહિતની વસાહતમાં વસવાટ કરતા પરિવારોના બાળકોની જન્મ નોંધણી બાકી રહી જવા પામેલ હોય આવા બાળકોની જન્મ નોંધણી માટે અરજદારોને કચેરીએ બોલવાને બદલે રામપરા બેટી ગામે એક કેમ્પનું આયોજન કરી માતા-પિતા પાસેથી નિયત અરજી ફોર્મમાં અરજીઓ મેળવી તલાટી-કમ-મંત્રીને હાજર રખાવી આવા બાળકોની જન્મ નોંધણી થયેલ ન હોવાનું રેકર્ડ ચકાસી અપ્રાપ્ય દાખલાઓ મેળવી બાદમાં જરૂરી સોગંદનામાં સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી જન્મ મરણ નોંધણી અધિનિયમ-1969ની કલમ-13 (3) મુજબ કુલ : 31 (એકત્રીસ) જેટલાં બાળકોનાં નામ ગ્રામ પંચાયતનાં જન્મ રજીસ્ટરમાં નોંધણી કરવા હુકમ કરવામાં આવેલ હતો. બાદમાં જન્મ પ્રમાણપત્રનાં આધારે તમામ બાળકોનાં આધારકાર્ડની કામગીરી પણ કરાવી આપી હતી.
આ પણ વાંચો : હવે મતદારોએ જન્મસ્થળનું પ્રમાણપત્ર આપવું પડશે : બોગસ મતદારોને દૂર કરવા ચુંટણી પંચનો આદેશ
એ જ રીતે રાજકોટના પીપળીયા ગામે પણ વિચરતી વિમુક્ત સમુદાયનાં કુલ 35 જેટલાં વ્યક્તિઓ દ્વારા જન્મ મરણ નોંધણી અધિનિયમ-1969 ની કલમ-13(૩) અન્વયે જન્મ નોંધણીનાં હુકમ મેળવવા માટે અરજીઓ મેળવી અરજીઓની ચકાસણી કરતાં કુલ : 25 (પચ્ચીસ) જેટલી અરજીઓ રાજકોટ શહેરનાં વિસ્તારને લગત હોય પ્રાંત અધિકારી, રાજકોટ (શહેર-1) ને જરૂરી કાર્યવાહી અર્થે અરજીઓ તબદીલ કરી બાકી રહેલ 10 જેટલી અરજીઓ કુવાડવા ગામને લગત હોય જરૂરી સોંગંદનામાં સહિતની કામગીરી કરાવી જન્મના દાખલા માટેની કાર્યવાહી હાલમાં ચાલી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.